સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસથી લોકોમાં ભારે રોષ, ‘ભાઉના રાજમાં પોતાનું હોમ ટાઉન સંભાળી ન શકતા ગૃહમંત્રી રાજીનામું આપે’

By Abhishek Raghuvanshi
1 Min Read
  • શહેરમાં વધતા હત્યાના બનાવોને લઈને વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યાં

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલી નિર્મમ હત્યા સહિતના વધતા હત્યાના બનાવોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં પોસ્ટર લાગ્યાં છે, જેમાં લખાયું છે કે ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્, ગૃહરાજ્યમંત્રી રાજીનામું આપે.

ઓવરબ્રિજ સહિતની જગ્યાઓ પર પોસ્ટર લાગ્યાં છે.

રાત્રિના સમયે લાગ્યાં પોસ્ટર
સુરતના કામરેજ, પુણા, યોગીચોક, સરથાણા, મિની બજાર, માનગઢ ચોક જેવા વિસ્તારોમાં પોસ્ટરો રાત્રિના સમયે લગાવવામાં આવ્યાં હતાં. આ પોસ્ટરો કોણે લગાવ્યાં એ સામે આવ્યું નથી. જોકે વીતેલા 14 દિવસમાં થયેલી લાગ લગાટ હત્યાઓને લઈને શહેર સ્તબ્ધ બની ગયું છે. ક્રાઈમ સિટી તરફ આગળ વધી રહેલા સુરતમાં લોકોનો ગુસ્સો હવે ગૃહમંત્રી તરફ જોવા મળી રહ્યો છે.

ક્રાઈમ સિટી સુરત હોવાનું લખાયું
પોસ્ટરમાં સુરત શહેર હવે ક્રાઈમ સિટી હોય એવું લાગી રહ્યાનું લખાયું છે. ક્રાઈમ સિટી બનેલા સુરત શહેરમાં 14 દિવસમાં મર્ડરની નવમી ઘટના સામે આવી છે. ધોળે દિવસે ચપ્પુ તેમજ બંદૂકની અણીએ લૂંટની ઘટનાઓનો સિલસિલો યથાવત્ છે. ત્યારે ભાઉના રાજમાં પોતાના શહેરમાં કાયદો વ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ હોવાનું લખીને ગૃહમંત્રી રાજીનામું આપે એવી પોસ્ટરો દ્વારા માગ ઊઠી છે.

Exit mobile version