શિક્ષિત પરિવારે હદ વટાવી:રાજકોટની મહિલા ડોક્ટરે વાંકાનેરમાં ગળાફાંસો ખાધો, માતાનું હૈયાફાટ રૂદન, કહ્યું- દિયર બેફામ ગાળો ભાંડતો, 10 વર્ષ સાસરિયાએ સખત ત્રાસ આપ્યો

By Abhishek Raghuvanshi
4 Min Read
  • મહિલા તબીબે વાકાનેરમાં ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
  • ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

રાજકોટ માવતર ધરાવતી અને હોમિયોપેથી તબીબ જાનકી વોરાએ ગઇકાલે વાકાનેરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આથી પોલીસે તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. અહીં જાનકીની માતા લતાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. માતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી દીકરીને સાસરિયાઓએ 10 વર્ષ સુધી સખત ત્રાસ આપ્યો, તેનો દિયર બેફામ ગાળો ભાંડતો હતો. ઘટનાને પગલે ડોક્ટર પિતાને સાંત્વના પાઠવવા ડોક્ટર મિત્રો સિવિલ હોસ્પિટલ ઉમટી પડ્યા હતા.

પહેલા ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી
વાંકાનેરમાં રહેતા જાનકી રજનીકભાઈ વોરા(ઉં.વ.34)એ ગઈકાલે પોતાના ઘરે જ દુપટ્ટા વડે ફાંસો ખાઈ લેતા તેઓને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં જાનકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા સિવિલ હોસ્પિટલમાં જાનકીના મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. જાનકીના મૃત્યુના સમાચાર સાંભળી પોસ્ટમોર્ટમ રૂમે પરિવારજનો અને તબીબો દોડી આવ્યા હતા.

જાનકી સાથે 5 વર્ષની દીકરી અને ડોક્ટર પતિ રજનીક વોરા.

મૃતક જાનકીને સંતાનમાં પાંચ વર્ષની દીકરી
મૃતક જાનકીના લગ્નને 10 વર્ષ થયાં છે. તેને સંતાનમાં એક પાંચ વર્ષની દીકરી છે. તેનો પતિ રજનીક સુરેશભાઈ વોરા વાંકાનેરની પીરમસાયક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ છે. તેમજ જાનકીએ હોમિયોપેથિક તબીબનો અભ્યાસ કર્યો છે. તે હાલ ઘરકામ કરતી હતી. જાનકીના પિતા મનસુખભાઈ રામજીભાઈ ઘોરવાડિયા રાજકોટની યસ હોસ્પિટલમાં એનેસ્થેશિયા વિભાગમાં તબીબ છે.

ડોક્ટર પિતાને સાંત્વના આપવા ડોક્ટર મિત્રો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા.

સમજાવવા જતા તો છૂટાછેડાનું દબાણ કરતા
મૃતકના માતા-પિતાએ આક્ષેપ કર્યો છે કે, જાનકીના પતિ, સાસુ, સસરા, દિયર, કાકાજી, કાકીજી સહિતે ખૂબ ત્રાસ આપ્યો છે. સાસરિયાવાળાઓને સમજાવીએ તો તેઓ છૂટાછેડા આપવાનું દબાણ કરતા હતા. મારી દીકરી આબરૂ જવાના ડરે અને હમણા બધું સારું થઈ જશે તેમ વિચારીને મૂંગા મોઢે સહન કરતી હતી.

- Advertisement -

જમાઇને સખતમાં સખત સજા થાયઃ પિતા
જાનકીના પિતા ડો.મનસુખ ઘોરવાડિયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી જાનકીનું વાંકાનેરમાં મૃત્યુ થયું છે, એમાં મને શંકા છે કે, મારા જમાઇએ ટોર્ચરિંગ કરી આપઘાતમાં ખપાવવા ટ્રાય કરી હોય એવું લાગે છે. પોતે પોતાની રીતે ટ્રીટમેન્ટ કરી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરી હતી. પરંતુ અહીં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આથી મારી અરજ છે કે, આરોપી જમાઇને સખતમાં સખત સજા થાય, શંકાના દાયરામાં મારા જમાઇ પછી તેના મમ્મી ઇન્દુબેન, તેનો ભાઇ સંદિપ, તેના કાકા અજયભાઇ અને તેના કાકીજી પુષ્પાની ચડામણી 100 ટકા છે, આથી મને ન્યાય અપાવો, હું કાયદેસર ફરિયાદ કરવા માગું છું.

મૃતક જાનકીની ફાઈલ તસવીર.

મારી દીકરી ડોક્ટર હતી છતાં અસહ્ય ત્રાસ આપ્યોઃ માતા
જાનકીના માતા લતાબેને રડતા રડતા જણાવ્યું હતું કે, મારી દીકરીના લગ્નને 10 વર્ષ પૂરા થયા હતા. તેના દિયર અને સાસુનો સખત ત્રાસ રહેતો હતો. મારી દીકરી સાસરિયાવાળા સાથે રહેતી ત્યારે તેનો દિયર ખૂબ જ અપશબ્દો કહેતો. મારી દીકરી ભણેલી ગણેલી છે, ડોક્ટર છે છતાં મારી દીકરીને અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો હતો. મારી દીકરીને 5 વર્ષની દીકરી છે પરંતુ આ પગલું શું કામ ભરે? પરંતુ સખત ત્રાસથી કંટાળી મારી દીકરીએ આ પગલું ભરી લીધું છે. તેના દિયર સંદિપને એવું છે કે, મારે રાજકારણીઓ સાથે સંબંધો વધારે છે, મારા સસરા ખુદ વકીલ છે એટલે મને કોઈ કંઇ નહીં કરી શકે.

Exit mobile version