રાજકોટના પટેલ વિહાર પરોઠા હાઉસવાળા હસમુખભાઈએ ગળેફાંસો ખાધો, આર્થિક સંકડામણ કારણભૂત

By Abhishek Raghuvanshi
2 Min Read
  • આર્થિક સંકડામણથી પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ

રાજકોટ શહેરના જૂના અને જાણીતા ગોંડલ રોડ પર આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના સંચાલક હસમુખ પાંચાણીએ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યાની શક્યતા સેવાઇ રહી છે. જોકે, આપઘાત પાછળનું સાચુ કારણ પોલીસ તપાસ બાદ જાણવા મળશે. પરિવારના મોભીના મોતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ઘરે છતની હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાધો
રાજકોટના યુનિવર્સિટી રોડ પર ધોળકીયા સ્કૂલ નજીક કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતાં હસમુખ પરષોત્તમભાઇ પાંચાણી (ઉં.વ.65)એ વહેલી સવારે છતના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

હસમુખભાઈએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો.

પત્ની ચારે વાગ્યે ઉઠ્યા તો પતિને લટકતા જોયા
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હસમુખભાઇ પાંચાણી ત્રણ ભાઇમાં વચેટ હતા અને સંતાનમાં ત્રણ પુત્ર છે. વહેલી સવારે ચારેક વાગ્યે તેમના પત્ની જાગ્યા ત્યારે હસમુખભાઇ રૂમમાં જોવા ન મળતાં પત્ની હોલમાં આવતાં ત્યાં પતિને લટકતાં જોતાં કલ્પાંત કર્યો હતો. આથી બીજા પરિવારજનો જાગી ગયા હતાં. જ્યારે હસમુખભાઇના સ્વજનોએ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જણાવ્યું હતું કે, આમ તો તેમને કોઇપણ જાતની તકલીફ નહોતી, પણ હાલમાં કદાચ આર્થિક સંકડામણમાં આવી ગયા હોય તેવી શક્યતા છે. જોકે ચોક્કસ કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

પોલીસે હસમુખભાઈના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

વર્ષોથી પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસ ચલાવતા
ઉલ્લેખનીય છે કે, હસમુખભાઇ પાંચાણી રાજકોટમાં ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસ નામે વર્ષોથી ધંધો કરતા હતા. ગોંડલ રોડ પરનું તેમનું પરોઠા હાઉસ વર્ષો જૂનું અને લોકોમાં જાણીતું છે.

- Advertisement -
Exit mobile version