- મહારાષ્ટ્રથી આવેલા ધારાસભ્યોને વહેલી સવારે વિમાન માર્ગે મોકલાયા
મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકીય ડ્રામા યથાવત રહ્યોછે. સુરતથી મંગળવારે રાત્રે 40થી વધુ ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી મોકલાયા હતાં. ત્યારે બુધવારે વધુ ચાર ધારાસભ્યો મહારાષ્ટ્રથી બાય રોડ સુરત આવીને આસામ ગયા હતાં.ત્યારે આજે ગુરૂવારે સતત ત્રીજા દિવસે વધુ 3 ધારાસભ્યો સુરત આવી પહોંચ્યાં હતાં. જેઓને ખાસ વિમાન માર્ગે સુરત એરપોર્ટથી આસામના ગુવાહાટી મોકલવામાં આવ્યાં હતાં.
આ ત્રણ ધારાસભ્યોને એરલિફ્ટ કરાયા
આજે મહારાષ્ટ્ર શિવસેનાના મંગેશ કુંડાલકર, સદા સરવનર અને સંજય રાઠોડ સુરત આવી પહોંચ્યાં હતાં. ડુમસની લા મેરિડિયન હોટલમાં ધારાસભ્યોએ ટૂંકુ રોકાણ કર્યા બાદ તેમને સુરત એરપોર્ટ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી ખાસ વિમાન મારફતે તમામને આસામના ગુવાહાટી મોકલાયા હતાં.
ત્રીજા દિવસે ડ્રામા યથાવત
મંગળવારથી શરુ થયેલો રાજકીય ડ્રામા આજે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છે. શિવસેનાના એક પછી એક ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેનો હાથ છોડીને એકનાથ શિંદેનો સાથ પકડી રહ્યાં છે. મહારાષ્ટ્રથી આસામ જતાં ધારાસભ્યો વાયા સુરત થઈને જઈ રહ્યાં છે. મુંબઈથી સીધી ફ્લાઈટ હોવા છતાં પણ મહારાષ્ટ્રના ધારાસભ્યો સુરત એરપોર્ટથી ગુવાહાટી જવાનું પસંદ કરી રહ્યાં છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે વધુ 3 ધારાસભ્યો સુરતથી આસામ રવાના થયાં હતાં. જેથી મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પર મુશ્કેલીમાં વધુ મુકાઈ છે.
