ભરતી ભરખી ગઈ:સુરતના કોઝવેમાં ડૂબેલા ત્રીજા બાળકનો પણ મૃતદેહ મળ્યો, મૃતકના પિતાનો આક્ષેપ- પાડોશીએ અમારાં બાળકોને મારી નાખ્યા

By Abhishek Raghuvanshi
3 Min Read
  • મોડી સાંજે ત્રણમાંથી બે બાળકના મૃતદેહ મળ્યા બાદ બાળકીનો મૃતદેહ પણ મળ્યો

સુરતના રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર શુક્રવારે રમી રહેલાં 2 બાળકો અને 1 બાળકી ભરતીને લીધે પાણીમાં ફસાઈ ગયાં હતાં. એ પૈકી 2 બાળકના ડૂબી જવાથી મોત થયાં હતાં, જ્યારે મોડે સુધી એક બાળકીનો પત્તો લાગ્યો નહોતો. જોકે શોધખોળના અંતે બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બાળકોનાં મોતને લઈને મૃતકના પિતા રહેમ અલી શાહે આક્ષેપ સાથે કહ્યું હતું કે પડોશી સાથે ઝઘડો થયો હતો. ત્યારે તેમણે મારાં બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી, જેથી અદાવત રાખીને તેમણે આવું કર્યું હોવાના વધુમાં આરોપ મૂક્યો હતો.

માસૂમના મોતથી માતા સ્તબ્ધ બની ગઈ હતી.

બીજા દિવસે બાળકીનો મૃતદેહ મળ્યો
કોઝવેમાં ત્રણ બાળક ગઈકાલે ડૂબી જવાની ઘટના બન્યા બાદ આજે ગુમ થયેલી ચાર વર્ષની સાનિયા બાનુનો મૃતદેહ પણ મળ્યો છે. ફાયરબ્રિગેડ દ્વારા આજે પણ શોધખોળ કરતાં બાળકીનો મૃતદેહ મળ્યો છે, જેથી મૃતકના પિતા સહિતના પરિવારે ભારે આક્રંદ કર્યું હતું. રહેમ અલી શાહના પરિવારના સંતાનોનાં મોત થતાં તેઓ સ્તબ્ધ થઇ ગયા છે.

પરિવારજનોએ બાળકોનાં મોતને લઈને પાડોશીઓએ આપેલી ધમકીને જવાબદાર ગણાવી છે.

- Advertisement -

બે દિવસ અગાઉ પાડોશમાં ઝઘડો થયેલો
રહેમ અલી શાહના કહેવા મુજબ, બે દિવસ અગાઉ મારાં બાળકો દ્વારા પડોશીની પાણીની પાઇપલાઇનમાં કોથળીઓ નાખી દેતાં પાઇપલાઇન ચોક અપ થઇ ગઈ હતી. તેથી તેઓ મને ધમકી આપી રહ્યા હતા. તમારાં બાળકો આ પ્રકારનું કૃત્ય કરતા રહે છે, જેને કારણે મુશ્કેલી થાય છે. અમે તારા એકપણ બાળકને જીવતા નહીં રહેવા દઈએ. ફોન પર પણ રહેમ અલી શાહને તેમણે ધમકી આપી હતી, જેનું રેકોર્ડિંગ પણ તેમની પાસે હોવાનું આક્ષેપ સાથે ઉમેર્યું હતું.

બાળકોનાં મોતને લઈને પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું.

પાડોશી પર આક્ષેપ
રહેમ અલી શાહે કહ્યું હતું કે અમારા પાડોશીએ અમારાં બાળકોને મારી નાખ્યા હોય એવું લાગે છે. તેઓ સતત અમારાં બાળકોને લઈને ધમકી આપતા રહેતા હતા. અમે થોડા દિવસ પહેલાં જ અહીં રહેવા આવ્યા હતા. મને શંકા છે કે અમારા પડોશી દ્વારા અદાવત રાખીને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે.

દુર્ઘટનામાં ત્રણેયનાં મોત
રાંદેરમાં ઇકબાલ ઝૂંપડપટ્ટીમાં રહેતો 7 વર્ષનો મહંમદ કરમઅલી ફકીર, 7 વર્ષનો શહાદત રહીમ શાહ અને 4 વર્ષની સાનિયા ફારુક શેખ શુક્રવારે બપોરે 3 વાગ્યાના અરસામાં કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર અજમેર ટાવરની પાછળના ભાગમાં રમી રહ્યાં હતાં અને ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા, જેમાં ત્રણેયનાં મોત નીપજ્યાં છે.

માસૂમ બાળકોના પીએમ સુરત સિવિલમાં કરવામાં આવ્યા છે.

બાળકો રોજની જેમ જ કાંઠે રમવા ગયાં હતાં
નિયમિત તાપીના પટ પર જતાં બાળકો શુક્રવારે બપોરે પણ ગયાં હતાં. અચાનક જ તાપીમાં ભરતી આવતાં ત્રણેય બાળકો ખેંચાઈ ગયાં હતાં. બાળકો કિનારા પર જ હતાં, પણ આગળ ઊંડો ખાડો હોવાના કારણે પાણીમાં ખેંચાયા પછી ખાડામાં ગરક થઇ ગયા હતા, જેના કારણે તેઓ નીકળી શક્યાં નહોતાં. મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડના જવાનોએ કામગીરી કરી હતી.

Exit mobile version