- પિતા-પુત્રીને વાંસકૂઇના પેટ્રોલપંપ પાસે અકસ્માત નડ્યો
- મોતને ભેટનાર યુવતી પ્રોફેસરની નોકરી સાથે PhD કરતી હતી
વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળીયામાં રહેતી અને ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી યુવતી પોતાના પિતા સાથે ધામોદલાથી મઢી કામ અર્થે જઇ રહ્યા હતા. ત્યારે સુરતના વાંસકૂઇના પેટ્રોલપંપ પાસે પાછળથી આવતી બોરવેલની ટ્રકે મોપેડને અડફેટમાં લેતા સ્નેહલતાબેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 13 જૂનના રોજ થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ટ્રકે અડફેટે પિતા 10 ફૂટ જેટલા ફંગોળાયા હતા. જ્યારે પ્રોફેસર પુત્રી ટ્રકની નીચે 25 ફૂટ જેટલી ઢસડાઈ હતી.
પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલપંપ તરફ ટર્ન લેતા ટ્રકે અડેફેટે લીધા
પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળિયામાં રહેતાં ગુરજીભાઈ ગજાભાઈ ચૌધરી (ઉ.વ.58) 13મી જૂને પોતાની એક્ટીવા (GJ-26-AD-0423) લઈને પોતાની દીકરી સ્નેહલતાબેન ચૌધરી (ઉ.વ.28) સાથે મઢી કામ અર્થે જઇ રહ્યા હતાં. ત્યારે વાંસકૂઈ ગામની સીમમાં ઇન્ડિયન પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલપંપ તરફ ટર્ન લઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી આવતી બોરવેલની ટ્રક (GJ-03-CL-8341)ના ચાલકે એક્ટીવાને અડફેટમાં લેતા બંને ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.
ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો
અકસ્માતમાં પિતા-પુત્રીને ગંભીર ઇજા થતાં પુત્રીનું સારવાર દરમિયાન મોત થયુ હતું. જ્યારે પિતા ગુરજીભાઈને ગંભીર ઇજા થતાં સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગામમાં ગમગીની છવાઈ
મારણજનાર સ્નેહલતાબેન ચૌધરી ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને પીએચડી કરી રહ્યા હતા. અકસ્માતમાં અકાળે મોત થતા ગામમાં ગમગીની છવાઈ હતી. ચૌધરી સમાજે એક આશાસ્પદ યુવતી ગુમાવી છે.
