વડોદરા પાસે ટ્રકે કચડી નાખતાં પિતા-પુત્રનાં મોત, પિતાનું માથું છુંદાયું, 16 વર્ષના પુત્રના બંને પગ અલગ થઈ ગયા

By Abhishek Raghuvanshi
3 Min Read
નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતા-પુત્રનાં સ્થળ પર મોત થયાં હતાં.
  • બાઇક પર રાયકાથી વાસદ જઈ રહેલા પિતા-પુત્રને ટ્રકે અડફેટે લીધા

વડોદરા શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતા-પુત્રનાં સ્થળ પર કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ટ્રકના ટાયર ફરી વળતાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા અને પિતાનું માથું છુંદાઈ ગયું હતું. પિતા-પુત્ર બંને વાસદ તરફ જઇ રહ્યા હતા. રાયકા ગામના રહેવાસી પિતા-પુત્રનાં એકસાથે અકસ્માતમાં મોત થતાં ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. અરેરાટીભર્યા આ બનાવ અંગે પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પિતા-પુત્ર પર ટ્રકનાં ટાયર ફરી વળ્યાં
વડોદરા ગ્રામ્યના રાયકા ગામમાં રગડી તળાવ પાસે રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે લાલો રમણભાઇ સિંધા (ઉં.35) અને તેમના પુત્ર અરુણ (ઉં.16) સાથે બાઇક પર પોતાના ગામથી વાસદ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન નંદેશરી-ફાજલપુર રોડ પર નવા બનતા બ્રિજ પાસે પિતા-પુત્ર સવાર બાઇકને પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે અડફેટે લેતાં તેઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા. એમાં 16 વર્ષના અરુણના કમરથી નીચેના ભાગે ટ્રકનાં તોતિંગ વ્હીલ ફરી વળતાં કમરથી નીચેનો ભાગ છૂટો પડી ગયો હતો.

ટ્રકના ટાયર ફરી વળતાં બંનેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
બુધવારે બપોરના સમયે બનેલા આ બનાવની જાણ પરિવારને થતાં તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને થતાં સ્થળ પર આવી પહોંચી હતી. નંદેશરી પોલીસને જાણ થતાં પીએસઆઇ પી.આર. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને પિતા-પુત્રના મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

બાઇક પર રાયકાથી વાસદ જઈ રહેલા પિતા-પુત્રને ટ્રકે અડફેટે લીધા હતા.

ટ્રક ઘટનાસ્થળે મૂકીને ડ્રાઇવર ફરાર
નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રક સાથે થયેલા અકસ્માતમાં રાયકા ગામના પિતા-પુત્રનાં એકસાથે મોત થતાં ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. પરિવારજનોના હૈયાફાટ રુદને ગામમાં સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવને પગલે હાઇવે પરના વાહનવ્યવહારને પણ અસર પડી હતી. આ બનાવ બનતાં ટ્રકચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્થળ પર પડેલી ટ્રક કબજે કરી હતી. એ સાથે નંદેશરી પોલીસે મૃતક નરેન્દ્રભાઇ ઉર્ફે લાલો સિંધાના પિતા રમણભાઇ ભીખાભાઇ સિંધાની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
પિતા-પુત્રનાં મોતથી પરિવારમાં માતમ જોવા મળ્યો.
Exit mobile version