રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં થયેલા હુમલામાં સારવાર દરમિયાન અવિનાશ ધુલેસિયાનું મોત, ઘટના CCTVમાં કેદ

By Abhishek Raghuvanshi
3 Min Read
આરોપીઓની તસવીર
  • ભૂમાફિયાઓ દ્વારા મકાન ઓછી કિંમતે વહેંચી દેવા વારંવાર કરવામાં આવતું દબાણ
  • બે દિવસ પૂર્વે હુમલામાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં કારખાનેદારને હોસ્પિટલ ખસેડાયા હતા
  • સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા હતા સામે

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વહેંચી ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દબાણ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને માટે સોસાયટી બહાર પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી હતી. જો કે બે દિવા પૂર્વે ગુંડાઓની જેમ ઘસી આવી 5 જેટલા શખ્સોએ નશાની હાલતમાં ગાડીના કાચ તોડી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે રાત્રે ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્તને દમ તોડી દેતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ
રાધાકૃષ્ણ સોસાયટીમાં બે દિવસ પૂર્વે મોડી રાત્રે 5 જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો. સોસાયટીવાસીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ બનાવના પગલે ચાર જેટલા સ્થાનિકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી અવિનાશ ધૂલેસીયા નામના કારખાનેદારને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડી પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિશની કલમ આઇપીસી કલમ 307 મુજબ ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હવે બનાવ હત્યામાં પલટાતા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ચોથો આરોપી – રવિ વાઢેર

48 કલાકની સારવાર બાદ મોત
ગત મંગળવારે રાતે 1 વાગ્યાની આસપાસ ભૂમાફિયાઓએ પથ્થરમારામાં અવિનાશભાઇ ધૂલેસીયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, 48 કલાકની ટૂંકી સારવાર દરમિયાન ગુરુવારે રાતે 11.30 વાગ્યા આસપાસ તેમનું મોત નીપજ્યું હતું. જેથી હવે આ સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે. ત્યારે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુનિવર્સીટી પોલીસ દ્વારા રવિ વાઢેર, હિરેન વાઢેર, વિજય રાઠોડ અને પરેશ ચૌહાણ નામના ચાર આરોપીની ધરપકડ કરી હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ આરોપીઓ રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં છે ત્યારે હવે આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરો કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- Advertisement -
Exit mobile version