ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, 53 પરિવારોનું સ્થળાંતર, શાળાઓમાં રજા જાહેર

By Abhishek Raghuvanshi
2 Min Read
https://timenews.today/img/2022/08/My-Video9-1.mp4
  • ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી છોડાતા નદીની સપાટી 25 ફૂટે પહોંચી
  • નદીકાંઠા વિસ્તારની શાળાઓમાં તકેદારીના ભાગરૂપે રજા જાહેર કરાઇ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 25 ફૂટે પહોંચી છે. જેને લઇવે સાવચેતીના ભાગરુપે 53 જેટલા કુટુંબના 186 જેટલા લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે નદીકાંઠા વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

5.45 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડાયું
ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગતરોજ 2 લાખથી વધુ ક્યૂસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ અપાયું હતું. ત્યારે આજરોજ ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જેને કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.

186 લોકોનું સ્થળાંતર
ગતરોજ રાત્રે નદીની વોર્નિંગ લેવલ સપાટી વધી હતી. ત્યારે આજે સવારે 10 કલાકે નદીની સપાટીમાં સતત વધારો થયો છે. નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે. જેને પગલે ભરૂચ ઉપર પૂરનું સંકટ ઉભું થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા 53 જેટલા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે. જે લોકોને દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક-6 ખાતે સ્થળાંતર કરી તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામના 500 અને ખાલ્પિયા ગામના 90 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યાર સુધી જિલ્લામાં 800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

શાળાઓમાં રજા જાહેર
પૂરના સંકટ વચ્ચે નગર પાલિકાની રેસ્કયૂ ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ, સ્થાનિક નગર સેવકો સહિત આગેવાનો ખડેપગે રહી સેવાકાર્યમાં જોડાયા છે. નદીકાંઠા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં તકેદારીના ભાગરૂપે રજા જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
Exit mobile version