ભરઉનાળે વરસાદની આગાહી:રાજકોટમાં ઘટાટોપ વાદળો છવાયાં, ગોંડલમાં અમીછાંટણાં, યાર્ડમાં ચણા, ઘઉં ખુલ્લામાં હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી

By Abhishek Raghuvanshi
3 Min Read
  • રાજકોટ યાર્ડે ખેડૂતોને પાલમાં નહીં કોથળામાં તૈયાર પાક લાવવા સૂચના આપી

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં 20 અને 21 એપ્રિલ એમ બે દિવસ પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એને પગલે આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં છે. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણા, લસણ, મગફળી, કપાસ સહિતના તૈયાર પાક વેચવા માટે આવ્યા છે, પરંતુ વાદળછાયું વાતાવરણ બંધાતાં ગમે ત્યારે વરસાદ પડવાની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ, ગોંડલમાં અમીછાંટણાં થતાં યાર્ડમાં ડુંગળી, મગફળી, ચણા અને મરચાની બે દિવસ આવક બંધ કરવામાં આવી છે. છાપરાં નીચે જે હરાજી થાય એ જ પાકની આવક શરૂ રાખવામાં આવી છે.

રાજકોટ યાર્ડમાં નવી આવક બંધ કરાઈ
રાજકોટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આથી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા ખેડૂતોના પાક પર વરસાદ પડે તો નુકસાન પહોંચે એમ છે, આથી માર્કેટ યાર્ડ દ્વારા નવી આવકો બંધ કરવામાં આવી છે તેમજ ખેડૂતોને યાર્ડની અંદર ખુલ્લામાં તૈયાર પાક ન ઉતારવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ પાલમાં નહીં, પણ કોથળામાં જ તૈયાર પાક લાવવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સૌથી વધુ ચણા, ઘઉં, લસણ અને મગફળીની આવક છે.

રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ.

જસદણ પંથકમાં પણ વાતાવરણમાં પલટો
જસદણ પંથકમાં પણ આજે વહેલી સવારથી વાદળો છવાઇ ગયાં છે. લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે છૂટાછવાયાં ઝાપટાં પડશે. ત્યારે ખારચિયા ગામના ખેડૂત ચંદુભાઈએ જણાવ્યું હતું કે હજુ મારી વાડીએ ખેતરમાં ડુંગળી-લસણનો તૈયાર પાક લેવાનો બાકી છે, આથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મજૂરો કરી તાત્કાલિક લેવાની કામગીરી હાથ ધરી છે. માવઠું પડશે તો મારો તૈયાર પાકને મોટું મુકસાન પહોંચશે. વાદળો છવાયેલા હોવાથી ઠંડો પવન ફૂંકાવા લાગ્યો છે.

જસદણ પંથકમાં ઘટાટોપ વાદળો છવાયાં.

રાજ્યમાં આજે વરસાદ પડવાની સંભાવના
ગોંડલના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું. આકાશમાં છવાયાં કાળાડિબાંગ વાદળો. ધીમી ગતિએ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં જ રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને 2 દિવસ છૂટોછવાયો વરસાદ પડશે એવી આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 20 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, ભરૂચ અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે.

- Advertisement -
કાળાં ડિંબાગ વાદળો છવાતાં ખેડૂતોમાં ચિંતા.
Exit mobile version