પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઇન તોડી શકાશે

By Abhishek Raghuvanshi
5 Min Read
  • ત્રીજી લહેરમાં મોત વધ્યાં નથી, પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં છે.
  • કોંગ્રેસ લોકોને કોરોનાની સહાય મળે તે માટે કલેકટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે

ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. સતત ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 24 હજાર 485 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો દાવાનળ ફાટ્યો હોય એમ 25 હજાર જેટલા રાજ્યમાં અને 10 હજાર જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓનાં મોત થયાં છે. ત્યારે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે કે કોરોનાની ગંભીર મહામારીમાં સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. દેશની સરકાર પણ ગંભીર નથી. ત્રીજી લહેરમાં મોત વધ્યાં નથી, પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં છે. હવે ત્રીજી લહેરની ચેઈન તોડવી પડે. આ માટે સરકાર પાસે તક છે. પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઈન તોડી શકાય છે.

ત્રીજી લહેરની ચેઈન તોડવી જરૂરી છે
કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે ત્રીજી લહેરમાં મોત વધ્યાં નથી, પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં છે. હવે ત્રીજી લહેરની ચેઈન તોડવી પડે. આ માટે સરકાર પાસે તક છે. પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઈન તોડી શકાય છે. શનિ-રવિ અને 26 જાન્યુઆરી છે તો પાંચ દિવસ રજા જાહેર કરીને કડક નિયંત્રણ લાવવામાં આવે એવી કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે.

સરકારે શરૂઆતથી જ કોરોનાને ગંભીરતાથી નહોતો લીધો
કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ચીનમાંથી ફેલાયેલો કોરોના જ્યારે દેશ-વિદેશમાં નહોતો ફેલાયો ત્યારે પણ સરકારે ગંભીરતાથી કોરોનાને લીધો નહોતો. બીજી લહેરમાં રોગ ઘાતક બન્યો અને લાખો લોકો મર્યા છે. સરકાર 10 હજાર લોકોનો આંકડો લઈને બેઠી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ અને નેતાઓએ 3 લાખનો આંકડો આપ્યો હતો સુપ્રીમે સવાલો ઊભા કર્યા ત્યારે 58 હજાર અરજી થઈ, 15 હજાર પેન્ડિંગ છે અને 11 હજાર અરજી પ્રોસેસમાં છે, 5 હજાર નામંજૂર થઈ છે. અમે નામંજૂર થયેલી અરજીઓ પર સવાલ ઊભો કરીએ છીએ.

ગુજરાત મોડલ વિશ્વમાં નિષ્ફળ ગયું છે
તમે હોસ્પિટલ, કબ્રસ્તાન, સ્મશાનમાંથી આંકડા લઈ શકો છો, માત્ર અઠવાડિયાંમાં આંકડા મળી જાય છે. રાજકીય તાયફા કરવા ગ્રામ સભા બોલાવો અને એજન્ડા આપી દો. તો એક જ દિવસમાં સવારે 11થી 5માં મૃતકોના આંકડા મળી શકે છે. ગુજરાત મોડલ વિશ્વમાં નિષ્ફળ ગયું છે. કોરોનામાં પ્રજાએ 28 મેટ્રિક ટન સોનું વેચ્યું છે, લોકોએ મકાન, જગ્યાઓ ગીરવી મૂક્યાં છે. સામૂહિક અને વ્યક્તિગત આત્મહત્યા પાછળ પણ આ કોરોના પણ જવાબદાર છે.

- Advertisement -

તમે આ સહાય આપો છો એ ઉપકાર નથી કરતા
સાચા આંકડા લાવતા નથી અને કોર્ટમાં માફી માગો છો એ નહિ ચાલે. તમે આ સહાય આપો છો એ ઉપકાર નથી કરતાં. Who સંસ્થા પણ કહે છે દેશમાં 35થી 40 લાખ મૃત્યુ થયાં છે પણ સરકાર માનતી નથી. કેટલાક લોકો ટેસ્ટ અને હોસ્પિટલમાં દાખલ થયા વગર કોરોનામાં મર્યા તેમને કઈ રીતે શોધાશે અને સહાય આપશે? સરકાર શા માટે તારીખ પે તારીખ લંબાવે છે. જ્યારે સુપ્રીમકોર્ટ લપડાક આપે ત્યારે સરકાર સહાય આપે અને કામ કરે છે. અમે કોરોનાની ગાઈડલાઇન્સ અનુસરીને કોરોનાની સહાય માટે કલેકટર, મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપીશું.

મેચો રમાડવામાં આવી અને કોરોના વધ્યો
કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે સરકાર કોરોનાના કેસ અને મોતના આંકડાઓ છુપાવી રહી છે. આ બાબત દેશ અને રાજ્યના લોકો સામે ખુલ્લી પડી છે. સરકારે જ્યારે જે જે તબક્કે નિર્ણય લેવાના હતા એમાં પાછી પડી છે. કોરોનાની શરૂઆતમાં ટ્રમ્પનો કાર્યક્રમ અને મેચો રમાડવામાં આવી અને કોરોના વધ્યો હતો. સરકાર અને દેશની સરકાર ચિંતા કર્યા વગર આગળ વધે છે. અમે 26 ડિસેમ્બરે કહ્યું હતું કે વાઇબ્રન્ટ બંધ કરો, પણ 10 દિવસ પછી ખબર પડી અને બંધ કર્યો. તેમણે કહ્યું હતું કે સરકારે WHOની ચેતવણી પણ ન સાંભળી, આજે સમગ્ર દેશમાં 4.30 લાખ કેસો છે. ગુજરાતમાં કોરોનાના ક્યારેય આટલા કેસો આવ્યા નથી. ગઇકાલે 25 હજારની નજીક આંકડો પહોંચી ગયો છે. કોરોના હાલમાં હળવો છે, પરંતુ જ્યારે લોકો અસરગ્રસ્ત થાય ત્યારે તેની અસર ના થાય તેવું નથી. હજી આ આંકડો વધશે.

Exit mobile version