પરીક્ષાના ડિપ્રેશનમાં આપઘાત:રાજકોટમાં ધો-10ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું, નાપાસ થવાના ડરથી આપઘાત કર્યો

By Abhishek Raghuvanshi
2 Min Read
  • મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાના ટેન્શનને કારણે વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ચકચાર મચી ગઈ છે. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પરીક્ષાના ડિપ્રેશનમાં જીવાદોરી ટૂંકાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે, ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીએ ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાત જલાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઉલ્લેખનીય છે કે રાજકોટની કડવીબાઈ વિદ્યાલયમાં પરીક્ષા દેવા માટે તેનો નંબર આવ્યો હતો. મૃતકના પિતા ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધોરણ-10 બોર્ડની હાલ પરીક્ષા આપતી વિદ્યાર્થીનીને પેપર નબળા જતા અગ્નિસ્નાન કર્યું હતું.ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે.તેમજ પંચનામાની કાર્યવાહી ની સાથો સાથ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં પીએમની પ્રક્રિયા પૂર્ણ થતા મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

Exit mobile version