
દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. આ અંગે વિપુલ ચૌધરી અને તેમના CAની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમને ACBને સોંપવામાં આવ્યા અને ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો જે નેગેટિવ આવ્યો છે. બીજીતરફ વધારાના પુરાવા મેળવવા પોલીસે પુછપરછની કવાયત હાથ ધરી છે.
300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું
વિપુલ ચૌધરી અગાઉ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, આ તપાસ બાદ રૂપિયા 300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. વિપુલ ચૌધરી અને તેમના PA સામે પગલાં ભરીને આખરે બંનેની ધરપકડ કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના PA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરાયા હતા
અર્બુદા સેના બનાવી વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહ્યું. અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરાયા હતા. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી ટાણે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે. આથી, ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલો ફેર પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. પરંતુ હવે તેમની ધરપકડ બાદ અર્બુદા સેનાની સભા યોજવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
