- ફગાસ ગામે પરણાવેલી દીકરીને પરિવાર ગુરુવારે ફરીથી સાસરે મૂકવા જવાનો હતો
- એક જ બાઇકમાં વાજડી ગામની સીમમાં જઈ ત્રણેયે સજોડે કૂવામાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી
રાજકોટના મનહરપુરમાં રહેતા બાંભવા પરિવારનાં ત્રણ પિતરાઇ ભાઇ-બહેને વેજાગામ વાજડીમાં આવેલા કૂવામાં ગઇકાલે પડતું મૂકી સામૂહિક આપઘાત કરી લીધો હતો. બે દિવસ પૂર્વે જ ફગાસ ગામેથી આણું વાળીને પરત પિયર આવેલી યુવતીએ બે પિતરાઇ સાથે આપઘાત કરતાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનામાં પ્રેમપ્રકરણની પોલીસને શંકા છે. જામનગર રોડ પરના મનહરપુર ઢોળા પાસે રહેતા કવા પબા બાંભવા (ઉં.વ.16), તેની પિતરાઇ બહેન પમી હેમાભાઇ બાંભવા (ઉં.વ.18) અને રેલનગરના સંતોષીનગરમાં રહેતા પિતરાઇ ડાયા પ્રભાતભાઇ બાંભવા (ઉં.વ.17)એ સજોડે આપઘાત કરી લેતાં બાંભવા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પમીને રાતે બે પિતરાઇ ભાઇ ઉઠાવી ગયા હતા અને આખી રાત ત્રણેયે ક્યાં વિતાવી એ તપાસનો વિષય છે.
પમીને ગુરુવારે સાસરે મૂકવા જવાની હતી
આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે હેમાભાઇ બાંભવાની પુત્રી પમીના લગ્ન પાંચ વર્ષ પહેલાં કાલાવડના ફગાસ ગામના મેહુલ માટિયા સાથે થયા હતા. પમીને ગુરુવારે સાસરે મૂકવા જવાની હતી. જોકે એ પહેલાં મંગળવારે રાત્રે 12 વાગ્યા પછી પમી તેના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી અને બુધવારે બપોરે વાજડીના કૂવામાંથી પમી અને તેના બે પિતરાઇની લાશ મળી આવી હતી.
મોબાઇલ રણક્યો અને ઓળખ મળી
વેજાગામ વાજડીની સીમમાં કૂવા પાસેથી એક ગ્રામજન પસાર થતા હતા ત્યારે કૂવા પાસે મોબાઇલ અને ત્રણ જોડી ચપ્પલ જોવા મળતાં કશુંક અજુગતું થયાની શંકાએ ગ્રામજન કૂવા પાસે પહોંચ્યા હતા. ગ્રામજન હજુ કોઇને જાણ કરે એ પહેલા જ બિનવારસી હાલતમાં મળેલા મોબાઇલમાં રિંગ વાગી હતી, તે ફોન રિસીવ કરતાં જ મૃતકોની ઓળખ મળી હતી.
મનહરપુરમાંથી પમીને ઉઠાવી, આખીરાત ત્રણેયે ક્યાં વિતાવી એ તપાસનો મુદ્દો
પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મનહરપુર ઢોળા પાસે રહેતો કવા પબાભાઇ બાંભવા (ઉં.વ.16) બાઇક લઇને મંગળવારે રાત્રે રેલનગરના સંતોષનીગરમાં રહેતા તેના પિતરાઇ ડાયા પ્રભાત બાંભવાના ઘર પાસે ગયો હતો અને બંને પિતરાઇ રાત્રિના 11.30 વાગ્યા સુધી બેઠા હતા અને બાદમાં બાઇક પર બંને ત્યાંથી નીકળી ગયા હતા. રાત્રે 12 વાગ્યા પછી મનહરપુર ઢોળે ગયા હતા અને ત્યાંથી પમીને ઉઠાવી હતી અને ત્રણેય એક જ બાઇકમાં ત્યાંથી નીકળી ગયા હતા. બુધવારે બપોરે ત્રણેયની લાશ કૂવામાંથી મળી આવી હતી. પમી, કવા અને ડાયાએ આખી રાત ક્યાં વિતાવી હતી એ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.
ત્રણ રાત અને બે દિવસ સાથે રહ્યા છીએ- પમીનો પતિ
કાલાવડના ફગાસ ગામે રહેતા મેહુલ માટિયાએ કહ્યું હતું કે તેના લગ્ન પાંચ વર્ષ પહેલાં સમાજના રિવાજ મુજબ હેમાભાઇ બાંભવાની પુત્રી પમી સાથે થયા હતા. પમી 18 વર્ષની થતાં શુક્રવારે તેને આણું વાળીને બાંભવા પરિવાર ફગાસ મૂકવા આવ્યો હતો અને સોમવારે બપોરે તેને પરત લઇ ગયા હતા. પમી સાથે સોમવારે સાંજે છેલ્લે વાત થઇ હતી, મંગળવારે આખો દિવસ તેનો સંપર્ક થયો નહોતો અને બુધવારે પણ કંઇ સમાચાર નહોતા, બુધવારે બપોરે જાણ થઇ હતી કે પમીએ તેના બે પિતરાઇ ભાઈ કવા અને ડાયા સાથે મળી કૂવામાં કૂદીને આપઘાત કરી લીધો હતો, અમે ત્રણ રાત અને બે દિવસ જ સાથે રહ્યા હતા, અમારા ઘરે આવી ત્યારે તેનું વર્તન સારું હતું, તેણે અન્ય કોઈ વાત કરી નહોતી, કવા અને ડાયા સાથે કોઈ ઝઘડો થયો હતો કે કેમ? એનો મને ખ્યાલ નહોતો.
શોધખોળ કરતા હતા ત્યાં લાશ મળી
મનહરપુર ઢોળા વિસ્તારમાં રહેતા પમીના પિતા હેમાભાઇ બાંભવાએ જણાવ્યું હતું કે સવારે 6 વાગ્યે ઊઠ્યા ત્યારે પમી ઘરમાં દેખાઇ નહોતી, પમી ગુમ થતાં તેની શોધખોળ શરૂ કરી હતી, નજીકમાં રહેતો ભત્રીજો કવો પણ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. બંનેને શોધતા હતા ત્યાં લાશ મળ્યાની જાણ થઇ હતી.
ત્રણેયે શા માટે આવું પગલું ભર્યુ એ તપાસનો વિષય-ACP
એસીપી પ્રમોદ દિયોરાએ જણાવ્યું હતું કે વેજાગામમાંથી અવવારૂ કૂવામાંથી પરિણીત યુવતી અને બે સગીરના મૃતદેહ મળી આવ્યા છે. હાલ પીએમની પ્રક્રિયા ચાલી રહી છે. ઘટનાસ્થળેથી ત્રણ મોબાઇલ અને એક બાઇક મળી આવ્યાં છે. તપાસમાં આ ત્રણેયે શા માટે આવું પગલું ભર્યું છે એ અંગે પીએસઆઇ કક્ષાના અધિકારી તપાસ કરશે. ગઇકાલ રાતથી ત્રણેય ઘરેથી નીકળી ગયાં હતાં.
