વધુ એક ‘આઈશા’:પતિએ પત્નીને કહ્યું, જો તું માગ્યા મુજબ દહેજ લાવી ન શકતી હોય તો જીવે છે શું કામ? યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો

By Abhishek Raghuvanshi
2 Min Read
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદના રામોલમાં રહેતી ઉત્તરપ્રદેશની પરિણીતાને પતિ અને સાસરિયાં દહેજને લઈ ત્રાસ આપતાં હતાં

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી આઈશાએ પતિ અને સાસરિયાંના દહેજના ત્રાસથી કંટાળી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો હોવાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં રામોલમાં જામફળી વિસ્તારમાં રહેતી ઉત્તરપ્રદેશની પરિણીતાએ સાસરિયાંએ દહેજ માગતાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પતિ અને સાસરિયાંએ કહ્યું હતું કે “જો તું માગ્યા મુજબ દહેજ લાવી ન શકતી હોય તો જીવે છે શું કામ ?” કહી મેણા મારતાં પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના ભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લગ્નમાં થયેલો 30 હજારના ખર્ચા માટે પતિ દબાણ કરતો હતો
ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં રહેતી અન્નપૂર્ણા ઉર્ફે લીલાદેવી નામની યુવતીના લગ્ન તેના જ ગામના રહેવાસી રાજકુમાર નામના યુવક સાથે 20-5-2020ના રોજ થયા હતા. લગ્નના એક મહિના બાદ પતિ રાજકુમારે કહ્યું હતું કે તારી મોટી બહેનને બાઇક લઈ આપ્યું છે, મારે પણ બાઇક જોઈએ, તું તારા ભાઈ પાસેથી લઈ આવ. લગ્નમાં રૂ. 30 હજાર ખર્ચો થયો હતો, જે લઈ આવવા માટે પણ દબાણ કરતો હોવાનું અન્નપૂર્ણા તેના ભાઈને જણાવતી હતી. અવારનવાર દહેજ મામલે ત્રાસ આપતા સાસરીમાં આવી વાત કરતી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
નણદોઈ પણ અવારનવાર નાની બાબતમાં મેણા ટોણા મારતા હતા
પોલીસ સ્ટેશનમાં આ મામલે સમાધાન થયું હતું અને ગામના પૂર્વ પ્રધાન સાથે રહી અને 10 રૂપિયાના સ્ટેમ્પ પર બંને પક્ષે કોઈ તકલીફ નહિ આપે એવું લખાણ કરી લઈ ગયા હતા. બાદમાં રાજકુમાર પત્નીને મૂકી અમદાવાદ આવી ગયો હતો. બે મહિના પહેલાં રાજકુમાર પત્નીને અમદાવાદ લઈ ગયો હતો. તેની બહેનના મકાનના ઉપરના માળે બંને રહેતાં હતાં. બાદમાં રાજકુમારની બંને બહેનો, નણદોઈ પણ અવારનવાર નાની બાબતમાં મેણાં-ટોણા મારતાં હતાં. જો તું માગ્યા મુજબ દહેજ લાવી ન શકતી હોય તો જીવે છે શું કામ ?” કહી મેણાં મારતાં અન્નપૂર્ણાએ 27 ફેબ્રુઆરીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Exit mobile version