- માસૂમ દીકરાના મોતને લઈને પરિવારનું હૈયાફાટ રુદન
સુરતના સાયણની સિદ્ધિવિનાયક સોસાયટીમાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. માતા રસોઈ બનાવતી હતી એ વખતે ચોથા માળની ગેલરીમાં રમતા 2 વર્ષના બાળકનું નીચે પટકાવાથી મોત નીપજ્યું હતું. માતાની નજર સામે જ સર્જાયેલી કરુણ દુર્ઘટનાને લઈને પરિવાર તાત્કાલિક બાળકને સિવિલ લઈ આવ્યું હતું, જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યું હતું. મોટી દીકરી બાદ જન્મેલા એકના એક દીકરાના મોતને લઈને સિવિલ હોસ્પિટલમાં પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું.
એકના એક દીકરાને ગુમાવતાં પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું.
પરિવારનો લાડલો જતો રહ્યો
પ્રમોદ સ્વાઈ (મૃત બાળકના પિતા)એ જણાવ્યું હતું કે એક દીકરી પર એકનો એક દીકરો હતો. સંર્પૂણ પરિવારની વ્યાખ્યા બની હતી. સાહિલ ખૂબ જ લાડકો હતો. હું તો કામ પર હતો. પત્ની ઘરે હતી. સાહિલ ચોથા માળેથી નીચે પડ્યો, તેનો ફોન આવ્યોને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શું કહું? દોડીને હોસ્પિટલ આવ્યો તો તેનો મૃતદેહ જ જોવા મળ્યો, રોજ સાહિલનો હસતો ચહેરો જોઈને કામે જવાની અને કામ પરથી આવ્યા બાદ જોવાની આદત પડી ગઈ હતી. હૃદય ફાટી ગયું હોય એમ લાગ્યું હતું.
પત્નીનું ધ્યાન ચૂક્યું ને બાળક ગુમાવ્યો
તેઓ કાનપુરના રહેવાસી છે અને લૂમ્સ ખાતાના માસ્ટર છે. સાહિલ 2 જ મહિનાનો હતો. બાળકને રમતો છોડી પત્ની રસોઈ બનાવી રહી હતી. મોટી દીકરી નીચે રમવા ગઈ હતી. પત્નીનું ધ્યાન ભટક્યું ને સાહિલ રમતાં રમતાં ગેલરીમાંથી નીચે પટકાતો જોઈ માતાએ નજરે જોયું, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોવાનું બાળકના પિતાએ વધુમાં જણાવ્યું હતું. હાલ પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
PM વગર મૃતદેહ લઈ જવાયો
ઓલપાડ પોલીસે પોસ્ટ મોર્ટમ વગર બાળકનો મૃતદેહ અંતિમ વિધિ માટે પરિવારને સોંપી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે મેડિકલ ઓફિસર ડો. MC ચૌહાણએ જણાવ્યું હતું કે, જો મૃતકની પડવાની હિસ્ટ્રી હોય તો પોસ્ટ મોર્ટમ કરવું જોઈએ.
