લાલ કિલ્લામાં હિંસાનો મુદ્દો:આરોપી પંજાબી એક્ટર દીપ સિદ્ધુ પર 1 લાખનું ઈનામ જાહેર, ઉપદ્રવીઓના ફોટો પણ જાહેર કરાયા

By Abhishek Raghuvanshi
2 Min Read

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 70મો દિવસ છે. આ બધાની વચ્ચે દિલ્હી પોલીસ સતત એક્શનમાં છે. 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના મામલામાં પોલીસે બુધવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દીપ સિદ્ધુ(પંજાબી એક્ટર), જુગરાજ સિંહ અને ગુરજંટ સિંહ વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

આ સાથે જ જજબીર સિંહ, બૂટા સિંહ, સુખદેવ સિંહ અને ઈકબાલ સિંહ પર 50-50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે. આ તમામ લાલ કિલ્લામાં થયેલી હિંસામાં આરોપી છે અને ફરાર છે. આ પહેલા પોલીસે મંગળવારે 12 તસવીર જાહેર કરી છે. જેમાં લાલ કિલ્લામાં તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે.

બીજી બાજુ, ગાઝીપુર બોર્ડર પર આંદોલનની કમાન સંભાળતા ખેડૂતનેતા રાકેશ ટિકૈત પણ જિંદની મહાપંચાયતમાં સામેલ થવાના છે. આ પહેલાં ટિકૈતે મંગળવારે કહ્યું હતું કે અમે સરકારને ઓક્ટોબર સુધીની ટાઈમલાઈન આપી છે. જો ત્યાં સુધી પણ ઉકેલ નહીં આવે તો આખા દેશમાં ટ્રેક્ટર રેલી નીકળશે, જેમાં 40 લાખ ટ્રેક્ટર સામેલ થવાનો અંદાજ છે. આ દરમિયાન આંદોલન પણ ચાલતું રહેશે.

​​​​​​​

- Advertisement -

જેલમાં બંધ આંદોલનકારીઓની મદદ માટે લીગલ ટીમ બનાવી

26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા પછી જે લોકો નથી મળી રહ્યા અથવા અટકાયતમાં છે તેમની મદદ માટે સંયુક્ત મોર્ચાએ લીગલ ટીમ બનાવી છે. ટીમના સભ્યોએ જણાવ્યું છે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. ત્યાંથી માહિતી મળી છે કે 115 લોકોને તિહાર જેલમાં બંધ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની લીગલ સેલે હિંસા મામલે ખેડૂતોને મદદની ઓફર આપી છે. કોંગ્રેસે કહ્યું છે કે એક લીગલ ટીમ ખેડૂતનેતાઓને મળશે.

6 ફેબ્રુઆરીએ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી
ખેડૂત સંગઠને જાહેરાત કરી દીધી છે કે 6 ફેબ્રુઆરીએ નેશનલ અને સ્ટેટ હાઈવેને જામ કરવામાં આવશે. ભારતીય કિસાન મોર્ચાના નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું છે કે શનિવારે બપોરે 12થી 3 વાગ્યા સુધીમાં નેશનલ અને સ્ટેટ હાઈવેને બ્લોક કરવામાં આવશે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચા (SMU)એ કહ્યું છે કે 128 લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે, તેમની કાયદાકીય મદદ માટે કમિટી બનાવામાં આવી છે.

Exit mobile version