રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂરો થતાં નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં ભાવુક થઈ ગયા હતા. તેમણે ગુલામ નબી આઝાદ સાથે તેમની મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. કાશ્મીરમાં થયેલી એક આતંકી ઘટનાનો ઉલ્લેખ કરતાં મોદી ઘણી વાર અટક્યા, રડ્યા, આંસુ લૂછ્યા અને પછી ઘ્રુજતા શબ્દોમાં કહ્યું- આઝાદને તે વખતે એવી ચિંતા હતી, જાણે કોઈ પોતાના પરિવારના સભ્યને હોય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, એક વાર હુ અને ગુલામ નબીજી લોબીમાં વાતચીત કરતા હતા. પત્રકારો એ જોતા હતા. બહાર આવ્યા કે એમણે તુરંત અમને ઘેરી લીધા. ત્યારે ગુલામ નબી આઝાદે કહ્યું, કે અમારી વચ્ચે વાદ-વિવાદ થાય છે. પરંતુ આ પરિવાર છે અને અમે અમારુ સુખ દુખ વહેંચીએ છીએ. ગુલામ નબીજીએ બંગલામાં જે બગીચો બનાવ્યો છે તે કાશ્મીર ઘાટીને યાદ કરાવી દે તેવો છે.
તેઓ આ બગીચાને ઘણો સમય આપે છે અને નવી નવી વસ્તુઓ તેમાં ઉમેરતા રહે છે. તેમણે તેમના સરકારી ક્વાર્ટરને પણ એટલું પ્રેમથી સજાવ્યું છે. અમે બંને ઘણાં એકબીજાની નજીક રહ્યા છે, કદાચ જ એવી કોઈ ઘટના બની હશે જ્યારે અમારી વચ્ચે વાતચીત ના થઈ હોય.
મોદીએ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જેમાં ગુજરાતના અમુક લોકોના મોત થયા હતા. મોદીએ કહ્યું, તે આતંકી હુમલા પછી સૌથી પહેલાં મને ગુલામ નબીજીનો ફોન આવ્યો હતો. તે માત્ર સૂચનાઓ આપવા માટેનો નહતો. ફોન પર તેમના આંસુ રોકાતા નહતા. તે સમયે પ્રણવ મુખરજી ડિફેન્સ મિનિસ્ટર હતા, મેં તેમને ફોન કર્યો કે, મૃતદેહો લાવવામાટે ફોર્સનું વિમાન મળી જાય તો સારુ. તેમણે કહ્યું હતું- હું વ્યવસ્થા કરી આપીશે. રાત્રે ફરી ગુલામ નબીજીનો ફોન આવ્યો. તે રાત્રે તેઓ ફોનમાં ઘરના સભ્યની જેમ ચિંતા કરી રહ્યા હતા. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુલામ નબી આઝાદ પક્ષની સાથે સાથે દેશનો પણ વિચાર કરે છે. તેમની જગ્યા ભરવી કોઈપણ પણ મુશ્કેલ છે.
ગઈકાલે, વડાપ્રધાનનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો
વડાપ્રધાન મોદી સોમવારે રાજ્યસભામાં બોલી રહ્યા હતા ત્યારે તેમનો અંદાજ અલગ જ હતો. તેમણે કેટલાક નવા શબ્દોનો ઉલ્લેખ કર્યો. જેમ કે આંદોલનજીવી, ફોરેન ડિસ્ટ્રક્ટિવ આઇડિયોલોજી અને જી -23. તે પણ જણાવ્યુ હતું કે જો આજે રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્ત હોત તો કવિતાઓ કેવી લખશે. ખેડુતોના મુદ્દા પર વિપક્ષને ઘેરી લેતા, મોદીએ ચાર પૂર્વ વડાપ્રધાનોનો ઉલ્લેખ કર્યો હતો.
PMએ કહ્યું કે, ‘આપણે લોકો કેટલાક શબ્દોથી પરિચિત છીએ – શ્રમજીવી, બુદ્ધિજીવી. હું જોઇ રહ્યો છું કે થોડા સમયથી આ દેશમાં એક નવો સમુદાય ઉત્પન્ન થયો છે. એક નવો સમુદાય સામે આવ્યો છે- આંદોલનજીવી. તમે જોશો કે આંદોલન ભલે વકીલોનું હોય, વિધ્યાર્થીઓનું હોય, મજૂરોની હોય, દરેક આંદોલનમાં આ સમુદાય જોવા મળશે. તેઓ આંદોલન વિના જીવી શકતા નથી. આપણે તેમને ઓળખવા પડશે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એકવાર રાજ્યસભાને સંબોધિત કરી છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સહિત ચાર સાંસદોને આજે ગૃહમાંથી વિદાય આપવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામ નબીનાં ખૂબ વખાણ કર્યાં હતાં.
