- સ્પામાંથી ઝડપાયેલી યુવતીએ વર્ણવી દાસ્તાન, વતન જઈ લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી
સાહેબ જીવતા નર્કનો અનુભવ કરી રહી છું, આનાથી હિન્ન કામ શું હોઈ શકે?, પરંતુ સ્થિતિ જ એવી હતી કે જીવવા માટે દેહ સોંપવો પડ્યો, પરંતુ હવે થોડા પૈસા કમાઇને વતન જતું રહેવું છે અને ત્યાં લગ્ન કરી સાંસારિક જિંદગી જીવવી છે, આ શબ્દો છે સોમવારે રાજકોટમાં સ્પામાંથી ઝડપાયેલી રૂપલલનાના. રૂપલલનાએ રજૂ કરેલી તેની દાસ્તાન તેના જ શબ્દોમાં અત્રે પ્રસ્તુત છે. બંગાળના એક ગામમાં મારો જન્મ થયો હતો, હું ચાર બહેનમાં બીજા નંબરની છું. માતા-પિતા વચ્ચે સતત ઝઘડા થતા હોઈ, હું આઠ વર્ષની હતી ત્યારે પિતા અમને બધાને છોડીને જતા રહ્યા હતા અને બીજા લગ્ન કરી લીધા હતા.
ગરીબીને કારણે સ્કૂલે જવાનું ક્યારેય બન્યું જ નથી. માતા પારકા ઘરના કામ કરતી હતી, જ્યારે મોટી બહેન ખેતીકામ કરીને ગુજરાન ચલાવતી હતી, હું 18 વર્ષની થઇ ત્યારે મને પણ થયું કે મારે કામ કરવું જોઇએ. ગામમાં કોઇ કામ નહોતું, અમારા ગામની એક યુવતી સુરતમાં કંઇક કામ કરતી હતી તે આવી ત્યારે તેણે કહ્યું કે મારી સાથે સુરત આવ, કામ મળી જશે. માતા અને બહેનના વિરોધ વચ્ચે હું સુરત આવી ગઇ. મારો ઇરાદો પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાનો જ હતો.
સુરતમાં એક મહિનો એ યુવતી સાથે રહ્યા બાદ તેની સાથે સ્પામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સ્પામાં મસાજ માટે આવતા ગ્રાહકો ગંદી નજરે જોતા હતા, તેઓ શરીરને સ્પર્શ કરતા એ મને પસંદ નહોતું, પરંતુ સુરતમાં ઓરડીનું રૂ.4 હજારનું ભાડું ચૂકવવા માટે આ સહન કરવું પડે તેમ હતું. સ્પામાં દરરોજના રૂ.200 મળતા હતા, ઓરડીનું ભાડું, ભોજન અને પૈસા વધારીને વતનમાં મોકલવા આ બધું મસાજ કામથી મળતા પૈસાથી સંભવ નહોતું, વધુ પૈસા મેળવવા માટે ગ્રાહકોની ઇચ્છા પૂરી કરવી પડવી.
ત્યારે મેં પહેલી વખત ગ્રાહક સાથે સંબંધ બાંધ્યો. ત્યાર બાદ હું ધ્રુસકે ધ્રુસકે રડી હતી, પરંતુ હવે લાગણીઓ જાણે મરી ગઈ છે. સુરતમાં ચાર વર્ષ પહેલાં એક યુવક મળ્યો હતો, તેની સાથે બે વર્ષ લગ્નજીવન જીવી, પરંતુ બાદમાં તે છોડીને જતો રહ્યો હતો. દુનિયાની ગંદકી મેં નિહાળી છે. ગ્રાહકો દ્વારા આપવામાં આવતી યાતના જીવતા નર્ક સમાન હતી. બે મહિનાથી રાજકોટ આવી હતી, સોમવારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે હું ત્યાંથી મળી આવી હતી.
હાલમાં તો આ ધંધો જ મારો રોજગાર છે, થોડા પૈસા કમાઇને વતન જતું રહેવું છે અને ત્યાં સારો યુવક મળે તેની સાથે લગ્ન કરવા છે. જેની સાથે લગ્ન થશે તેને હું મારો ભૂતકાળ કહી દઇશ, ભવિષ્યમાં તેને જાણ થાય અને મારો સંસાર તૂટે એવું નથી ઇચ્છતી. મારા સંતાનોને કોઇપણ ભોગે ભણાવીશ, જેથી તેના હાલ મારા જેવા ન થાય.
મારાં પરિવારજનોને એમ છે કે હું બ્યૂટીપાર્લરમાં કામ કરું છું
મહિને 15000 જેટલી આવક છે, જેમાં 4 હજાર ભાડું ચૂકવું છું અને 3 હજાર વતનમાં માતાને મોકલું છું. મારી માતા અને બહેનોને આજે પણ જાણ નથી કે હું દેહવિક્રય કરું છું. તેમની સાથે અઠવાડિયામાં બે વખત ફોન પર વાત કરું છું. તેમને એમ જ છે કે હું બ્યૂટીપાર્લરમાં કામ કરું છું. હું જલદીથી આ ગંદકીમાંથી બહાર આવવા ઇચ્છુ છું.
