- ક્યાં ભીખારી કી તરાહ તમાકુ માંગતે ફીરતે હો, કમાઓ ઔર ખાઓ તમાકુ તેમ કહેતા ઝઘડો થયો હતો
સુરતના પર્વતપાટીયા વિસ્તારમાં ગત 29મી જુલાઈના રોજ એક યુવક અનિલ તાઈડેનું માર માર્યા બાદ મોત નીપજ્યું હતું. આ બ્લાઈન્ડ મર્ડર કેસને ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે અને બે મિત્રોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તમાકુના ઝઘડામાં માર માર્યો હતો.
ઘટના શું હતી?
ગત 29 જુલાઈના રોજ ઘટનાની રાત્રીના સમયે બન્ને પર્વતપાટીયા બ્રિજ નિચે પીલર નં-2 ની બાજુમાં રહેતા એક કાકા પાસે તમાકુ ખાવા માટે ગયા હતા. જ્યાં અનિલ તાઈડે નામના યુવકે “ક્યાં ભીખારી કી તરાહ તમાકુ માંગતે ફીરતે હો, કમાઓ ઔર ખાઓ તમાકુ” તેમ કહેતા ઝઘડો થયો હતો. રાજુ યાદવ અને વિજય પટેલ બન્ને મિત્રોની અનિલ સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં અનિલ રાજુને ડાબા હાથના ભાગે કોઇ તિક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી હતી. જેને કારણે બન્નેએ ભેગા મળી તેને ગડદાપાટુ ઢિકમુકીનો માર માર્યો હતો. ત્યારબાદ અનિલને પર્વતપાટીયા બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડની બાજુમાં મારતા મારતા લઈ ગયા હતા. જ્યાં અજાણ્યો ઈસમ પડી ગયો હતો. જેથી અમે બન્ને ચાલી ગયા હતા.
પોલીસ દ્વારા બે મિત્રોની અટક કરવામાં આવી
પુણા પોલીસે જણાવ્યું હતું કે બાતમીના આધારે રાજુ ઉર્ફે બંખૈયા પ્રેમચંદ યાદવ ઉ.વ-33 ધંધો-મજુરી રહે-પર્વતપાટીયા ઓવર બ્રીજ નીચે પીલરનં-1 ની પાસે સાંઈબાબા મંદિરની સામે પુણા સુરત શહેર મુળ રહે ગામ-રોશનદેવારા તા-જીયેનપુર જી-આજમગઢ (ઉત્તરપ્રદેશ) અને વિજય જગદીશ પટેલ ઉ.વ-22 ધંધો મજુરી રહે- પરવત પાટીયા ઓવર બ્રીજ નીચે પીલર નં-2ની પાસે સાંઈબાબા મંદિરની સામે પુણા સુરત શહેર મુળગામ-બીલીમોરા તા-બીલીમોરા જી-નવસારીની અટક કરી પૂછપરછ કરાઈ હતી.પરવત પાટીયા બ્રીજ નીચે રહેતા અજાણ્યા ઈસમને જાનથી મારવાવાળા અજાણ્યા બે ઈસમોને પકડી પાડી બ્લાઈન્ડ મર્ડર કેસ ડિટેક્ટ કરાયો છે. પુણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
માથા અને છાતીના ભાગે ઇજાથી મોત થયું હતું
સારવાર દરમિયાન મોતને ભેટેલા અનિલ તાઈડેના દાખલ કેસ પેપરમાં પણ માર મરાયો હોવાનું ડોક્ટરને કહ્યું હતું, જેમાં પણ સારવાર કરનારા ડોક્ટરોએ ઇજાનાં નિશાન બતાવ્યાં હતા. એટલું જ નહીં, પણ સર્જરી વિભાગે અનિલના મૃત્યુનું કારણ માથા અને છાતીના ભાગની ઇજા હોવાનું બતાવ્યું હતું.
