ભાસ્કર ઇન્ટરવ્યૂ:‘પાર્ટીના ટોચના નેતાઓ જ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવા માગે છે, યુથ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ બનવા માટે નકલી મેમ્બરો ઊભા કરીને કૌભાંડ થાય છે’

By Abhishek Raghuvanshi
4 Min Read
નિખિલ સવાણી – ફાઇલ તસવીર
  • કોંગ્રેસ છોડ્યા બાદ ભાસ્કર સાથેની મુલાકાતમાં નિખિલ સવાણીએ કોંગ્રેસના સિનિયર નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા
  • ‘જૂથવાદના લીધે કોંગ્રેસ પૂરી થઈ ગઈ, પક્ષ પાસે પ્રેસ કોન્ફરન્સ કરનારા નેતાઓ વધી રહ્યા છે પણ કાર્યકરો નથી’

પાસના નેતા અને હાર્દિક પટેલ સાથે કોંગ્રેસમાં જોડાયેલા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ નિખિલ સવાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ગમે ત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. આ અંગે નિખિલ સવાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે કેટલાંક લોકો સાથે ચર્ચા કરી નિર્ણય લેશે. કોંગ્રેસ છોડતાં પહેલાં તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં હાર્દિક પટેલની અવગણના થઇ છે અને તેમની રાજકીય હત્યા થઇ છે. તેમણે કહ્યું કે આમ હું જ નથી કહેતો પણ હાર્દિક પટેલ પણ અગાઉ કહી ચૂક્યા છે કે તેમનું સન્માન કોંગ્રેસમાં જળવાતું નથી. તેમણે એમ પણ કહ્યું કે યુથ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ બનવા માટે નકલી મેમ્બરો ઊભા કરીને કૌભાંડ થાય છે.

સવાલ: શું તમને કોંગ્રેસમાંથી કાઢવામાં આવ્યા છે કે તમે રાજીનામું આપ્યું?
જવાબ: 
મેં જાતે રાજીનામું આપ્યું છે. 2019થી હું કોંગ્રેસમાં જોડાયો હતો પણ આ પાર્ટીમાં કાર્યકરોની કોઈ કદર નથી. ગમે તેટલી લોકોની સેવા કરીએ પણ પ્રદેશ કક્ષાએથી કોઈ પૂછતું પણ નથી. કાર્યક્રમોમાં પણ ગણ્યાંગાંઠ્યા કાર્યકરો જ મળે છે. એનું કારણ એ છે કે કોંગ્રેસમાં હવે પ્રેસ કોન્ફરન્સ કરનારા નેતાઓની સંખ્યા વધી ગઈ છે અને કાર્યકરો રહ્યા નથી. ગ્રૂપીઝમના કારણે જ મેં રાજીનામું આપી દીધું.

સવાલ: તમે અને હાર્દિક એકબીજાને સારી રીતે ઓળખો છો ત્યારે તેની નેતાગીરીથી કોંગ્રેસમાં કોઈ બદલાવ નથી?
જવાબ: હાર્દિક પક્ષનો કાર્યકારી પ્રમુખ છે પણ માત્ર નામ પૂરતો જ છે. અન્યથા તેની પાસે પક્ષમાં કોઈ સત્તા નથી. ટિકિટ ફાળવણીમાં કે પક્ષના કોઈપણ મોટા નિર્ણયમાં તેને પૂછવામાં પણ આવતું નથી. પ્રોટોકોલ પ્રમાણે રાજ્યપાલને મળવાનું હોય કે પછી અન્ય મોટા નિર્ણયો કરવાના હોય તો હાર્દિકને સાથે લેવો પડે પણ કોંગ્રેસમાં આવું કંઈ થતું નથી.

સવાલ: તો શું હાર્દિક પટેલ પણ કોંગ્રેસ છોડવા માગે છે? અન્ય નેતાઓ તેને સાથે કેમ રાખતા નથી?
જવાબ: કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ જ તેની રાજકીય હત્યા કરવા માગે છે. અને એટલે જ કાર્યકારી પ્રમુખ હોવા છતાં તેને કોઈપણ જગ્યાએ સાથે રાખવામાં આવતા નથી.

- Advertisement -

સવાલ: યુથ કોંગ્રેસમાં ગફલા થાય છે, તેવો તમે આક્ષેપ કરી રહ્યા છો, આવું કેવી રીતે થાય છે?
જવાબ: યુથ કોંગ્રેસની મેમ્બરશીપ થાય છે,દર ત્રણ વર્ષે ઇલેક્શન આવે છે, રાહુલ ગાંધી આ સિસ્ટમ લાવ્યા હતા. યુથ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ બનવા માટે આખા ગુજરામાંથી ફોર્મ ભરાવવા પડે છે, પ્રદેશ પ્રમુખ બનવું હોય તો દોઢ લાખની આસપાસ ફોર્મ ભરવા પડે. દરેક પાસેથી 50 રૂપિયા લેવાના હોય છે. બે ગ્રૂપ હોય તો બીજું ગ્રૂપ પણ સવા લાખ તો ભરે. તો અઢી લાખ જેવા ફોર્મ ભરાય. દોઢેક કરોડ રૂપિયાનું ઉઘરાણું થાય તો શા માટે આટલું ઉઘરાણું કરવામાં આવે છે? શું ફોર્મ ભરનારા ખરેખર યુથ કોંગ્રેસમાં જોડાય છે? ઘણા ફોર્મ બોગસ હોય છે. જો લાખો યુવકો જોડાતા હોય તો ગ્રાઉન્ડ પર કેમ દેખાતા નથી? એનો અર્થ આ નકલી મેમ્બરશિપ થઈ. જેની પાસે રૂપિયા હોય તેજ લાખો ફોર્મ ભરાવી શકે છે. ખરેખર તે બનાવટી ફોર્મ હોય તેને ઘરમાંથી રૂપિયા નાખવા પડે.

સવાલ: તમારા ઘણા મિત્રો પણ અત્યારે આપમાં છે, તો શું હવે તમે આમ આદમી પાર્ટીમાં જોડાશો?
જવાબ: જે લોકો અમારી સાથે જોડાયેલા છે,તેમને મળીશું, ચર્ચા કરીશું,એમની સાથે વાતચીત કર્યા બાદ આગળ નિર્ણય લઈશું. ઘણા લોકો છે પરંતુ અમે ચર્ચા કરીશું,જેમની સાથે કામ કરવાનું છે તેમની સલાહ લઈને આગળ નિર્ણય લઈશું.

સવાલ: શું હવે ગુજરાતમાં કોંગ્રેસનું ભવિષ્ય છે,
જવાબ: આંતરિક જૂથવાદના કારણે કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે. પક્ષ પાસે હવે કાર્યકરો પણ રહ્યા નથી. માત્ર પ્રેસ કોન્ફરન્સ કરવા માટે નેતાઓ જ બચ્યા છે.કદાચ એવું પણ બને કે અત્યારે 66 ધારાસભ્ય છે તે આગામી વિધાનસભામાં 22 પણ થઈ જાય.

સવાલ: ગુજરાતમાં આપનું ભવિષ્ય કેવું જુઓ છો ?
જવાબ: તે તો આવનારો સમય બતાવશે પણ અત્યારે આપને સમર્થન મળી રહ્યું છે.

Exit mobile version