પેથાપુર ગૌશાળા નજીક તરછોડાયેલા દોઢ વર્ષના બાળકની સારસંભાળની માહિતી મેળવવા ગૃહમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

By Abhishek Raghuvanshi
4 Min Read
ભાજપનાં કોર્પોરેટર બાળકની સંભાળ લઈ રહ્યાં છે.
  • બાળકને તરછોડનાર શખસની શોધખોળ માટે LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લાગી
  • ગાંધીનગર શહેરના તમામ સીસીટીવી ફૂટેજો તપાસવામાં આવી રહ્યા છે

ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી છે. બાળક મળ્યું હોવાની ઘટના મામલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે ત્રણ વાગ્યા સુધી સતત પોલીસવડાના સંપર્કમાં રહી તેના વિશે અપડેટ મેળવતા રહ્યા હતા. દોઢ વર્ષના બાળકનાં માતા-પિતાની અને મૂકી જનાર શખસની શોધખોળ માટે ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લગાડવામાં આવી છે. હવે ગૃહ મંત્રી પણ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકની સાર સંભાળની માહિતી મેળવવા પહોંચી ગયાં છે.

ભાજપના કોર્પોરેટર બાળકની સંભાળ રાખી રહ્યા છે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું હતું કે આ પ્રકારે બાળકને તરછોડાયું છે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે. જિલ્લામાં ટીમ બનાવી, સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે. બાળકને મૂકનાર શખસને જલદી જ પકડી લઈશું. હું ખાતરી આપું છું કે આરોપીને સજા કરવામાં આવશે. ગાંધીનગર શહેરના તમામ સીસીટીવી ફૂટેજો તપાસવામાં આવી રહ્યા છે. સ્થાનિક ભાજપનાં મહિલા કોર્પોરેટર તેમના પતિ અને મહિલા પોલીસ ગઈકાલ રાતથી જ બાળકની સંભાળ લઈ રહ્યાં છે. જિલ્લા પોલીસવડા મયૂર ચાવડાએ સિવિલ હોસ્પિટલમાં પહોંચી બાળકની સારસંભાળ અંગે માહિતી મેળવી હતી.

હજી સુધી બાળકનાં માતા-પિતાની જાણ થઈ નથી
નવરાત્રિના બીજા દિવસે ગાંધીનગર પાસેના પેથાપુર નજીક ગૌશાળા પાસે શુક્રવારે રાતે સાડાનવ વાગ્યાના અરસામાં અંદાજે દોઢથી બે વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે, પરંતુ હજી સુધી આ માસૂમનાં માતા-પિતાની ભાળ મળી નથી. આખરે આ બાળક કોણ છે એ સવાલ ઊઠી રહ્યો છે. બાળકનેને ત્યજી દેનારા શખસની ગાંધીનગર પોલીસ શોધખોળ કરી રહી છે. હાલ તો CCTVના આધારે તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા બાળકની પ્રાથમિક તબક્કે પોલીસે સિવિલમાં મેડિકલ તપાસ શરૂ કરાવી છે. જોકે જોતાં જ ગમી જાય એવા નાનકડા ભૂલકાને મૂકીને ફરાર થતા નરરાક્ષસનો જીવ કેમ ચાલ્યો હશે એ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એવામાં બાળકને શા માટે મંદિરમાં મૂકી દેવાયું એ અંગે ઊભા થયા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

CCTVમાં એક શખસ બાળકને લઈ જતો દેખાય છે.

સોસાયટીના રહીશોએ બાળકને જોયા બાદ પોલીસને જાણ કરી
ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે પોલીસે તપાસ હાથ ધરી છે. આજુબાજુના લોકોના સહકારથી બાળકને સારી જગ્યાએ લઈ જવાયું છે. કોણ મૂકી ગયું અને કયા કારણસર મૂકી ગયું એ તપાસ અને કયા ડિરેક્શનમાંથી આવ્યો હતો એ પણ તપાસીશું. સોસાયટીના રહીશોએ જોયા બાદ તેમણે પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, વિવિધ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. અમે મીડિયા મારફત લોકોને અપીલ કરીએ છીએ કે કોઈપણ માહિતી હોય તો અમને જાણ કરે. જલદીમાં જલદી બાળકને તેનાં માતા-પિતા મળી જાય એવો અમારો પ્રયાસ રહેશે.

- Advertisement -
Exit mobile version