નાથની નગરચર્યા:ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ ખેંચવા 120 ખલાસી સજ્જ, મંદિર બહાર રથયાત્રાનાં બોર્ડ પણ લગાવાયાં

By Abhishek Raghuvanshi
4 Min Read
આજે કેબિનેટની મીટિંગમાં રથયાત્રાનો નિર્ણય લેવાઈ શકે છે.
  • મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા સહિતના પદાધિકારીઓએ રથયાત્રા રૂટ પર રોડ અને જર્જરિત મકાનોનું નિરીક્ષણ કર્યું
  • પોલીસે રથયાત્રા પહેલાં ખલાસીઓ સાથે મીટિંગ કરી, રથ કઈ રીતે ઝડપી પહોંચાડવા વગેરેની ચર્ચા કરી

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આગામી 12 જુલાઈના રોજ યોજાશે કે કેમ એની મંદિર કે સરકાર તરફથી હજી સુધી કોઈ જાહેરાત કરાઈ નથી. જોકે રથયાત્રા કાઢવાની જગન્નાથ મંદિર, શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, જેને જોતાં રથયાત્રા ચોક્કસ યોજાશે. આજે જગન્નાથ મંદિરને 120 જેટલા ખલાસીનું લિસ્ટ ખલાસીઓ દ્વારા આપવામાં આવ્યું છે, જેઓ વેક્સિનેટેડ હશે. જગન્નાથ મંદિરની બહાર ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા- જગન્નાથ મંદિરનું મોટું બેનર લગાવવામાં આવ્યું છે.

રથયાત્રાના સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું
બેનરમાં ભગવાનશ્રી જગન્નાથની ઐતિહાસિક પારંપરિક 144મી રથયાત્રા 12-07-2021ને સોમવારે. બેનરમાં સામાજિક અંતર જાળવો અને માસ્ક પહેરો એવું પણ લખ્યું છે. આજે બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો એવાં મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને કમિટીના ચેરમેનો દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ આ વર્ષે ‘નાથ’ નીકળશે નગરચર્યાએ, ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા સવારે 7 વાગ્યે નીકળી 12 વાગ્યે નિજમંદિરે પરત ફરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએ ભગવાનનાં દર્શન કર્યાં.

રોડના પેચવર્ક તેમજ જર્જરિત મકાનો અંગે તપાસ કરાઈ
રથયાત્રા રૂટ પર મેયર સહિત પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રૂટ પર રોડના પેચવર્ક, જર્જરિત મકાનો વગેરેની તપાસ કરવામાં આવી હતી. ખાડિયા જેવા વિસ્તારમાં જ્યાં વધુ જર્જરિત મકાનો છે ત્યાં તેમજ અન્ય જગ્યાએ કોર્પોરેશન દ્વારા ત્રણવાર રાઉન્ડ લઈ નોટિસ ઉપરાંત રિપેરિંગ કરવામાં આવ્યું છે. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રોડના પેચવર્ક તેમજ જર્જરિત મકાનો અંગે તપાસ કરાઇ છે.

- Advertisement -
રથયાત્રા રૂટ પર મેયર સહિત પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું.

આજે કેબિનેટ બેઠક બાદ રથયાત્રા કાઢવા નિર્ણય થઈ શકે
રથયાત્રાની મંદિરમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર મંદિરને લાઈટોની રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. ભક્તો મંદિરમાં પ્રવેશ કરે એના માટે બહાર લાઈન માટે બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યાં છે. દર વર્ષે જે રીતે ભક્તોને સવારે અંદર પ્રવેશ આપવામાં આવે છે એ મુજબ જ દર્શન કરવા દેવામાં આવશે એવી તૈયારીઓ થઇ રહી છે. શહેર પોલીસ દ્વારા રથયાત્રાને લઈ તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના બંદોબસ્તમાં અલગ અલગ જિલ્લામાંથી પોલીસફોર્સ બોલાવી લેવામાં આવી છે. તમામ જિલ્લાની પોલીસ આજથી અમદાવાદ આવી પહોંચી છે અને અલગ અલગ મ્યુનિસિપલ સ્કૂલમાં ઉતારો આપવામાં આવ્યો છે. અંદાજે 2000થી વધુ પોલીસ અમદાવાદ આવી પહોંચી છે. આજે કેબિનેટ બેઠક બાદ રથયાત્રા કાઢવા મામલે નિર્ણય જાહેર કરી શકે છે.

રથયાત્રામાં જોડાવા માટે ગજરાજ પણ તૈયાર.

રથયાત્રામાં જોડાવા ગજરાજ નિજમંદિર પહોંચ્યા
સાથે રથયાત્રામાં આ વખતે ઘણી એક્ટિવિટી પર પ્રતિબંધ હશે, એવું પણ જાણવા મળી રહ્યું છે, જેમાં અખાડા અને ટ્રકને પરવાનગી નહિ મળે, સાથે સામાન્ય લોકો પણ દૂરથી જ નાથનાં દર્શન કરી શકશે. આ રથયાત્રામાં સૌપ્રથમ હાથી નીકળે છે, ત્યાર બાદ ભગવાનના રથ મંદિર પરિસરની બહાર નગરચર્યાએ નીકળે છે. આ હાથી રથયાત્રામાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હોય છે. બાળકોથી માડીને વૃદ્ધો પણ જ્યારે નાથની નગરચર્યા દરમિયાન હાથી તેમના ઘર આગળથી પસાર થાય ત્યારે એનાં દર્શન કરી એને ફ્રૂટ્સ કે ગોળ જેવી વસ્તુઓ ખવડાવતા હોય છે.

Exit mobile version