- વડીલોએ કહ્યું- 100 વર્ષમાં ક્યારેય આવો વરસાદ જોયો નથી, ટ્રેક્ટરો તણાવાની તૈયારીમાં હતાં
- ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ અને PGVCL દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરાયો
રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, પરંતુ રાજકોટના મોરબી રોડ પર આવેલા ખોબા જેવડા કાગદડી ગામમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. માત્ર 2 કલાકમાં જ 12 ઇંચ વરસાદ ખાબકતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ગ્રામજનોના કહેવા મુજબ, 100થી 150 પશુ તણાયાં છે, જેમાંથી 25ના મૃતદેહ મળ્યા છે અને બાકીનાં પશુઓની હજુ સુધી ભાળ નથી. 100 વર્ષમાં અમે આવો વરસાદ ક્યારેય જોયો નથી. વરસાદે અમને મચ્છુ હોનારતની યાદ અપાવી હતી. ગામના નીચાણવાળા વિસ્તારોમાં માથાડૂબ પાણી ભરાયાં હતાં.
100 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવી તારાજી
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર દોઢથી બે કલાકના સમયમાં અમારા ગામમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. કોઇનું ખેતર ધોવાયું તો કોઇનાં પશુઓ તણાયાં છે, કોઇના ઘરની ઘરવખરી તણાય તો કોઇના ઘરે પડેલું તૈયાર અનાજ પલળી ગયું છે. ભારે વરસાદને કારણે માલધારીઓના વંડામાં રહેલાં પશુઓ તણાઈ ગયાં છે. વીજપોલ ધરાશાયી થઇ ગયાં છે. નદીકાંઠે આવેલાં ખેતરોમાં તો એવી સ્થિતિ થઇ હતી કે જાણે ખેતર નહિ, કોઇ નદીનો ખાલી પટ્ટ હોય. ગામના વડીલોનું કહેવું હતું કે 100 વર્ષમાં ક્યારેય ન જોઇ હોય તેવી તારાજી ગામમાં સર્જાઇ છે. જો વધારે વરસાદ આવ્યો હોત તો સ્થિતિ વધુ ગંભીર બની જાત.
ખેતરમાં પાક ધોવાયો, ઘરમાં ઘરવખરી ધોવાઈ
ખેતરોમાં એટલું ધોવાણ થયું છે કે વાવેતર કર્યું છે કે નહિ એ ખબર ન પડે એ રીતે મેદાન થઇ ગયું છે. અનેક ઘરોની ઘરવખરી વરસાદમાં પલળી ગઇ છે. ખેડૂતે મહેનત કરીને વાવેલું લસણ, ઘઉં, ચણા, જીરું, રાય સહિતના તૈયાર પાક પલળી ગયા છે તો અનેક ઘરોમાં વાવેતરનું ખાતર અને પશુઓ માટેનો ચારો પલળી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષ પહેલાં વરસાદમાં જ ફેલ થયું છે. હવે સીધું શિયાળુ વાવેતર લઇ શકાશે. ત્યારે સરકારે આ અંગે સહાય કરવી જરૂરી છે.
કાગદડી ગામમાં 150 પશુ તણાયાં, 25 વીજપોલ ધરાશાયી
કાગદડી ગામના સરપંચ દેવ કોરડિયાએ જણાવ્યું હતું કે રવિવારે કાગદડી ગામમાં સાંજના 4થી 6 વાગ્યા સુધીમાં અંદાજે 10થી 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આશરે 150 જેટલાં પશુ લાપતા છે. અંદાજે 20થી 25 વીજપોલ પડી ગયા છે. ખેડૂતોનાં ખેતરોનું ધોવાણ થયું છે. આજ દિન સુધી ન જોયેલો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો, આથી કાગદડી ગામના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. PGVCL અને ખેતી વિભાગની ટીમ દોડી આવી છે અને નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે. પશુ આરોગ્યની ટીમ પણ સર્વે કરી રહી છે. અંદાજે 100 હેક્ટર જેવી જમીન ધોવાય ગઈ છે. હજુ ફિક્સ અનુમાન લગાવવામાં આવી રહ્યું નથી.
ટ્રેક્ટરો તણાવાની તૈયારીમાં હતાં: ખેડૂત
ખેડૂત રામજીભાઇ સંખારવાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં બહુ વરસાદ પડ્યો હતો અને નુકસાની પણ મોટી છે. આવો વરસાદ મારી ઉંમરમાં ક્યારેય જોયો નથી. જમીનનું બહુ જ ધોવાણ થયું છે. શેઢા-પાળા બધા વીખી નાખ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં માથાડૂબ પાણી ભરાય ગયાં હતાં. ટ્રેક્ટરો તણાવાની તૈયારીમાં હતાં, પણ વરસાદ રહી જતાં બચી ગયાં હતાં. ઘરવખરી પલળીને બગડી ગઇ છે. અનાજ પણ પલળી જતાં આખા વર્ષની ખાધાખોરાકી હવે ફરીથી લેવી પડશે.
બારે મેઘ ખાંગા થયા હતાઃ ગ્રામજન
પ્રવીણભાઇ લીંબાસિયા નામના ગ્રામજને જણાવ્યું હતું કે વરસાદની વાત કરીએ તો અમારે બારે મેઘ ખાંગા થયા હોય એવો ગણાય. ગામની અંદર પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. ખેતરો ધોવાઈ ગયાં છે. ઘરવખરીની વાત કરીએ તો માપ વગરનું નુકસાન થયું છે. અંદાજિત ગણીએ તો 10થી 15 લાખની નુકસાની છે.
ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો
ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા ગામમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની ટીમ દ્વારા સર્વે હાથ ઘરવામાં આવ્યો છે. ગામના તલાટી મંત્રી સ્નેહલ મકવાણાના કહેવા પ્રમાણે મૃત્યુ પામેલાં પશુઓ, ખેતીના પાકને થયેલા નુકસાન અને ઘરવખરીમાં થયેલા નુકસાન અંગે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને તાત્કાલિક સહાય ચૂકવાય એ રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગામમાંથી અનેક પશુ તણાયાં છેઃ તલાટી મંત્રી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામમાં અનેક પશુઓ તણાઈ ગયાં છે, જ્યારે સૌથી વધારે નુકસાન ઘરવખરીને થયું છે. બીજી તરફ સરપંચ દેવ કોરડિયાના કહેવા પ્રમાણે કાગદડી ગામની સ્થિતિ અંગે ડીડીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખને માહિતી અપાય રહી છે અને ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ સહિત તમામ લોકો દ્વારા ટૂંક સમયમાં સર્વે પૂર્ણ કરીને સહાયની ચુકવણી કરવામાં આવશે.
