- રાજકોટ મનપાની ચૂંટણી પહેલાં વોર્ડ નં.1માં સ્થાનિકોનો હોબાળો
રાજકોટ મનપાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજકોટમાં વોર્ડ નંબર 1ના લોકોએ પ્રાથમિક સુવિધાના અભાવે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને હોબાળો કર્યો છે. પાયાની સુવિધાના અભાવે લોકોએ ‘મતદાન નહીં કરીએ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. વોર્ડ નંબર 1ના શાસ્ત્રીનગર વિસ્તારમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અહીં પાયાની સુવિધાનો જ અભાવ છે, જેને લઈને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી તેમણે પ્રાથમિક પ્રશ્નો હલ નહીં થાય તો મતદાન નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતા.
મોટા સાહેબો આવીને જતા રહે છે, પણ કામ થતું નથી- સ્થાનિક
વોર્ડ નંબર 1માં રહેતા નિકુંજભાઈ પરમારે રોષ ઠાલવતાં કહ્યું હતું કે અમારા વિસ્તારમાં કોઈપણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. અમારા કોર્પોરેટર પણ અમારા વિસ્તારમાં પૂરતું ધ્યાન આપતા નથી. છેલ્લાં 15 વર્ષથી અમારા વિસ્તારમાં પાણી આવતું નથી. અહીં મોટા મોટા સાહેબો આવીને જોઈ જાય છે છતાં કોઈ કામ કરવામાં આવતું નથી, જેથી અમારા વિસ્તારના લોકો મતદાનનો બહિષ્કાર જ કરવાના છે.
મોટા ભાગની પાયાની સુવિધાનો અભાવ
રાજકોટમાં વોર્ડ નં.1ની વાત કરવામાં આવે તો આ વિસ્તામાં મુખ્ય સમસ્યામાં ગંદકી, પૂરતા પાણીનો અભાવ, મુખ્ય બજારમાંથી ગટરો નીકળતી હોવાથી દુર્ગંધ આવવી, ચારેબાજુ કચરાના ઢગલાનો સમાવેશ થાય છે. સ્થાનિકોનો આક્રોશ છે કે તમામ પ્રકારનો પૂરતો વેરો ભરીએ છીએ છતાં મોટા ભાગની પાયાની મુખ્ય સમસ્યાનો અભાવ જોવા મળી રહ્યો છે. કોઇપણ રજૂઆત કરવા જઇએ ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી એક જ સૂર જોવા મળે છે કે થઇ જશે.
15 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં સ્થાનિકો પરેશાન
સ્થાનિક રહેવાસી કલ્પેશભાઈએ જણાવ્યું હતું કે 15 વર્ષથી આ વિસ્તારમાં ભાજપનું શાસન છે. એક જ ઉમેદવાર ત્રણ ટર્મથી જીતે છે છતાં ખખડધજ રસ્તા, ઊભરાતી ગટર અને ગંદા પાણી રોડ પર આવવા જેવી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છીએ. જ્યારે અન્ય સ્થાનિક નવીનભાઈ જોશીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારતના સૂત્ર વચ્ચે પણ કચરાના ઢગલા, સફાઈકર્મચારીઓ નિયમિત ડોકાતા પણ નથી. ખાસ કરીને રસ્તાઓ પર ઢોરનો અડિંગો અકસ્માત સર્જે છે.
