ખેડૂતનેતાઓમાં ફૂટ પડી:ગુરનામ ચઢુની પર 10 કરોડ લેવાનો, કોંગ્રેસ સાથે મળીને હરિયાણા સરકારને દૂર કરવાની ડીલનો આરોપ

By Abhishek Raghuvanshi
3 Min Read
ભારતીય કિસાન યુનિયન (હરિયાણા)ના અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢુની પર કોંગ્રેસની ટિકિટના બદલામાં ષડયંત્ર કરવાનો આરોપ લાગ્યો છે. (ફાઈલ ફોટો)

ખેડૂત આંદોલન દરમિયાન પ્રથમવાર સંયુક્ત મોરચાની બેઠકમાં ખેડૂતોમાં ફૂટ પડી હોવાનું નજરે પડ્યું. રવિવારે મીટિંગમાં હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ગુરનામ ચઢુની પર આંદોલનને રાજનીતિનો અડ્ડો બનાવવા, કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓને બોલાવવા અને દિલ્હીમાં સક્રિય હરિયાણાના એક કોંગ્રેસનેતા પાસેથી આંદોલનના નામે લગભગ 10 કરોડ રૂપિયા લેવાના ગંભીર આરોપ લાગ્યા. આરોપ હતો કે તે કોંગ્રેસી ટિકિટના બદલામાં હરિયાણા સરકારને તોડી પાડવાની ડીલ પણ કરી રહ્યા છે. ચઢુનીએ તમામ આરોપો નકારી દીધા છે.

બેઠકની અધ્યક્ષતા કરી રહેલા કિસાનનેતા શિવકુમાર કક્કાએ કહ્યું હતું કે બેઠકમાં મોરચાના સભ્ય તેમને તરત મોરચામાંથી હાંકી કાઢવા ઈચ્છે છે, પરંતુ આરોપોની તપાસ માટે 5 સભ્યની કમિટી બનાવવામાં આવી, જે 20 જાન્યુઆરીએ રિપોર્ટ આપશે. એ જ આધાર પર નિર્ણય લેવામાં આવશે.

આંદોલન સાથે સંકળાયેલા લોકો NIA સમક્ષ હાજર નહીં થાય

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ખેડૂત આંદોલનમાં ટેરર ફંડિંગ અંગે તપાસ કરી રહી છે. આંદોલન સાથે સંકળાયેલા 50થી વધુ લોકોને સમન્સ મોકલવામાં આવ્યા છે. એનાથી રોષે ભરાયેલાં ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે તેમની સાથે સંકળાયેલા કોઈ નેતા કે કાર્યકર્તા NIA સમક્ષ હાજર નહીં થાય.

- Advertisement -

માને કહ્યું- ખેડૂતોની વાત રજૂ ન કરી શકું તો કમિટીમાં રહેવાનો હક નથી
કૃષિ કાયદાઓ પર સુપ્રીમ કોર્ટ તરફથી બનાવાયેલી કમિટીમાંથી રાજીનામું આપી ચૂકેલા ભૂપિન્દર સિંહ માને જે રીતે કમિટી છોડી, તેમના રાજીનામા અંગે ધમકીઓ મળવા સહિત અનેક કયાસ લગાવાયા. દિવ્ય ભાસ્કરે રાજીનામાનાં કારણો અને ખેડૂત આંદોલનને લઈને તેમનું મંતવ્ય લીધું, વાંચો વાતચીતના મુખ્ય અંશ…

સવાલઃ શું તમારા પર કોઈ દબાણ હતું?
જવાબઃ નહીં. ન તો વિદેશી સંગઠનો કે સંસ્થાઓનું કે ન તો સત્તા પક્ષનું દબાણ હતું. ન તો મને કોઈના તરફથી ધમકી મળી છે કે જેના વિશે અફવાઓ ફેલાઈ રહી છે.

કમિટીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કેમ લીધો?
જ્યારે ખેડૂતો કમિટી સાથે વાત ન કરવા માગે, હું તેમનો અવાજ રિપોર્ટમાં સામેલ ન કરી શકો તો સભ્ય બની રહેવાનો હક નથી.

નિર્ણય લેવામાં કોઈ મુશ્કેલી?
મેં 48 કલાક સતત વિચાર કર્યો કે શું હું ખેડૂતોનો અવાજ ઉઠાવી શકીશ તો અંતર્મનમાંથી અવાજ આવ્યો કે આ સંભવ નથી. મેં ચીફ જસ્ટિસ સાથે વાત કરી અને 15 મિનિટમાં જ રાજીનામું આપી દીધું.

ખેડૂત આંદોલનને લઈને આપનો દૃષ્ટિકોણ શું છે?
અંગત હિત માટે ખેડૂતો રસ્તા પર ઊતરતા નથી. ખેડૂતોની માગણીઓ વાજબી છે. કેન્દ્રએ યોગ્ય રીતે માગણીઓનો ઉકેલ લાવવો જોઈએ. હું કાયદાઓની તરફેણમાં નથી.

ખેડૂતોની મોટી મુશ્કેલીઓ શું છે?
ખેડૂતોની આવક પર ટેક્સનો માર છે. હવામાનનો માર પણ સહન કરે છે. પાકની કિંમત જેવી સમસ્યાઓ પર કેન્દ્રએ કામ કરવાની જરૂર છે. હાલની નીતિઓમાં એવું જોવા મળતું નથી.

Exit mobile version