- અગાઉ ભાજપે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનું કદ ઘટાડવા બાવળિયાને પ્રમોટ કર્યા હતા
- કુંવરજી બાવળિયા આયાતી ઉમેદવાર હોવાથી ભાજપને ભરોસો નથી? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે
ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે જ્ઞાતિના ચોકઠા મંડાવા લાગે છે. વર્ષોથી જ્ઞાતિ આધારિત ચાલી આવતી ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ કંઇક અવનવી રણનીતિ ઘડવા લાગે છે. ભાજપે કોળી જ્ઞાતિના મતો અંકે કરવા માટેના ચોકઠા ગોઠવી દીધા છે અને સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાને પ્રમોટ કરીને કેન્દ્ર મંત્રી મંડળમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. ડો. મહેન્દ્ર મુંજપરાને પ્રમોટ કરીને કુંવરજી બાવળિયાનું કદ ઘટાડવામાં આવી રહ્યાની પણ જોરશોરથી ચર્ચા લોકોમાં ઉઠી છે. મુંજપરા સૌરાષ્ટ્રની યાત્રાએ પણ નીકળશે અને જ્ઞાતિના આગેવાનોને રીઝવવા પ્રયાસ કરશે.
ગુજરાતમાં 20થી 23 ટકા કોળી જ્ઞાતિનું પ્રભુત્વ
ગુજરાતમાં પાટીદાર વોટબેન્ક સૌથી પ્રભાવશાળી મનાય છે. પરંતુ હકીકત એ છે કે, જનસંખ્યાની દૃષ્ટિએ કોળી સમાજ 23 ટકા જેટલું પ્રભુત્વ ધરાવે છે અને ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 35-37 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 22થી 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10-12 બેઠક ગણી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે.
આયાતી બાવળિયા પર ભાજપને ભરોસો નથી?
કુંવરજી બાવળિયા વર્ષોથી કોંગ્રેસમાં જસદણ-વીંછિયાના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવતા હતા. બાદમાં કોંગ્રેસમાં યોગ્ય સ્થાન ન મળતા અને અવગણનાને કારણે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. બાદમાં 2019માં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેઓ ભાજપમાંથી પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનું કદ ઘટાડવા માટે ભાજપે કુંવરજી બાવળિયાને પ્રમોટ કર્યા હતા. હવે ડો.મુંજપરાને પ્રમોટ કરી બાવળિયાનું કદ ઘટાડવામાં આવી રહ્યું છે કે શું? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. બીજી તરફ બાવળિયા ભાજપે આપેલી જવાબદારી નિભાવવામાં ખરા નથી ઉતર્યા તેવો પણ ગણગણાટ શરૂ થયો છે.
ઓબીસી કાર્ડ ભાજપે બેલેન્સ કરી દીધું છે
મનસુખ માંડવીયાને કેન્દ્રમાં લઈને તો પાટીદાર ફેક્ટર પણ સચવાઈ ગયું. નાયબ મુખ્યમંત્રી ઓબીસીમાંથી બનાવવામાં આવે તેવી પણ ચર્ચા ઉઠી તો નવાઈ નહિ. હાલ કેન્દ્રીય મંત્રીમંડળમાં મુંજપરા અને દેવુસિંહને સમાવીને કોળી-ઓબીસી કાર્ડ ભાજપે બેલેન્સ કરી દીધું છે. ભાજપ પાસે પોતાનો કહેવાય એવો કોઈ મોટો કોળી નેતા નથી. કુંવરજી બાવળિયા આયાતી કહેવાય અને ભાજપ તેમનો ભરોસો કદી ન કરે તેવી પણ ચર્ચા ઉઠી છે. એટલે જ હવે ડો.મુંજપરાને આગળ કરીને ભાજપ તેમને ભવિષ્યના કોળી નેતા તરીકે પ્રમોટ કરે છે.
ગુજરાતમાં કોળી મતદારોની ટકાવારી
ભાવનગર – 18%
સુરેન્દ્રનગર – 15%
જૂનાગઢ – 11%
અમરેલી – 12%
પોરબંદર – 11%
નવસારી – 10%
વલસાડ – 08%
ભરૂચ – 07%
ગુજરાતમાં આ નેતાનું કોળી જ્ઞાતિ પર પ્રભુત્વ
- ભાવનગર, અમરેલી, જુનાગઢ (ગીર સોમનાથ), પોરબંદર (માંગરોળ-ચોરવાડ) એ દરિયાકાંઠાના કોળી સમાજ પર પરસોતમ-હીરા સોલંકીનું અબાધિત વર્ચસ્વ છે.
- સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ત્રણ તાલુકાના કોળી સમાજ પર કુંવરજી બાવળિયા, સોમા ગાંડાનું વર્ચસ્વ મનાય છે.
- ભરુચ-અંકલેશ્વર, વલસાડ, નવસારીના કોળી પોતાને ચુંવાળિયા કે તળપદાથી અલગ કોળી પટેલ ગણે છે, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના કોળીઓ સાથે તેમનો સામાજિક વ્યવહાર નહિવત હોય છે.
આખો મુંજપરા પરિવાર મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલો છે
ડો.મહેન્દ્ર મુંજપરાનો જન્મ 1968માં સુરેન્દ્રનગરના વઢવાણમાં થયો છે, તેઓ ચુવાળિયા કોળી ઠાકોર સમાજમાંથી આવે છે. તેમણે અમદાવાદ સ્થિત એનએચએલ મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેમજ અમદાવાદમાં પીએચએસ સાબરમતી, એલજી હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાંથી તેમજ સુરેન્દ્રનગરની સીયુ શાહ સેન્ટરમાં ઇન્ટર્નશિપ કરેલી છે. એક રીતે જોવા જઇએ તો આખો મુંજપરા પરિવાર મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલો છે.
અંદાજે 8 લાખ કરતા વધારે દર્દીઓની સારવાર કરી છે
તેમના પત્ની પણ BAMS આયુર્વેદિક ડોક્ટર છે અને તેમના બન્ને સંતાનો દીકરો અને દીકરી પણ મેડિકલનો અભ્યાસ કરે છે.માત્ર પોતાના સમાજમાં જ નહીં પરંતુ શહેરના અને આસપાસના ગામડાંઓમાં પણ ડો. મુંજપરાને એક સેવાભાવી ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જનસેવા નામની હોસ્પિટલ ચલાવે છે અને તેમણે અત્યારસુધીમાં અંદાજે 8 લાખ કરતા વધારે દર્દીઓની સારવાર કરવામાં આવી છે.
સંઘના કારણે મોદીને પસંદ છે
વિધાનસભા નહીં સીધી લોકસભાની ટિકિટ મળી હતીડો. ડો.મુંજપરાની રાજકિય કારકિર્દી અંગે વાત કરવામાં આવે તો તે ઘણા લાંબા સમય સુધી સંઘ સાથે એક કાર્યકર્તા તરીકે જોડાયેલા હતા. તેઓ 2009થી ભાજપમાં એક કાર્યકર તરીકે સક્રિય થયા છે. 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડો. મહેન્દ્ર મુંજપરાનું નામ ધ્રાંગધ્રા બેઠક માટે ઘણું ચર્ચામાં આવ્યું હતું, પરંતુ એ સમયે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવ્યા બાદ ડો. મહેન્દ્ર મુંજપરાને સીધી લોકસભાની ટિકિટ સુરેન્દ્રનગર બેઠક પરથી આપવામા આવી હતી.
