- ઓવરટેક કરવાની પળોજણમાં અકસ્માત સર્જાયો, કાળ 5 જણાને ભરખી ગયો
- લોચો વળેલી કારમાં સવાર કેટલાક લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા
- મૃતકો અમદાવાદના વિરમગામ તાલુકાના અને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વતની
ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ગઈકાલે ગુરુવારે મોડી રાત્રે હૃદય કંપાવી દે એવો અકસ્માત સર્જાતાં 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કઠલાલના કપડવંજ રોડ પર પોરડા નજીક ગત મોડી રાત્રે ટેન્કર અને કાર વચ્ચેના ગોઝારા અકસ્માતમાં કાળ 5 જણાને ભરખી ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ લોકો વિરમગામ અને લખતર તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે. કઠલાલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
લોચો વળેલી કારમાંથી લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા
કઠલાલના કપડવંજ રોડ પર પોરડા નજીક ગઈકાલે ગુરુવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર નં. (GJ 23 AT 5678) અને સ્વિફ્ટ કાર નં. (GJ 27 AA 4715) વચ્ચે અકસ્માત થતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. લોચો વળેલી કારમાં સવાર કેટલાક લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા, જે પૈકી 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત ખસેડાયો હતો, જેનું પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ઓવરટેક કરવાની પળોજણમાં અકસ્માત સર્જાયો
મૃતક વ્યક્તિઓ વિરમગામ અને લખતર તાલુકાના વતની હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ કઠલાલ પોલીસને કરવામાં આવતાં પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. સ્થાનિકોનું કહેવું છે કે ઓવરટેક કરવાની પળોજણમાં અકસ્માત સર્જાયો હતો.
પોલીસનાં સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક ભરતભાઇ જમોડના દીકરા કિરણ અને તેમની સાથે આવેલાં પાયલબેનને લઈને આવેલા. આ બન્નેને લેવા ઉપરોક્ત તમામ લોકો સ્વિફ્ટ કાર લઈને તોરણા પાસેના પેટ્રોલપંપે આવ્યા હતા. બન્નેને કારમાં બેસાડી તમામ લોકો પરત પોતના ગામે જઈ રહ્યા હતા એ દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. જોકે પોલીસે ઇજાગ્રસ્તના નિવેદનની વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે, જે પછી ચોક્કસ માહિતી બહાર આવે એમ છે એવું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.
મૃતક
સુરેશભાઈ ચમનભાઈ મેણિયા (ઉં.વ.30, રહે.બાબાજીપુરા, તા.લખતર, જિ. સુરેન્દ્રનગર)
વિક્રમ બાલુભાઈ પાભરિયા (ઉં.વ.35, રહે.બાબાજીપુરા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)
ભરતભાઈ કેશાભાઈ જમોડ (ઉં.વ.45, રહે. ચેજરા, તા.વિરમગામ, જિ. અમદાવાદ)
પ્રભુભાઈ લાખાભાઈ બકુડિયા (ઉં વ.35, રહે. વસવલિયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ)
સારવાર દરમિયાન મોત
સુનીલ હરિભાઇ કુમાદરા (ઉં.વ. 24, રહે. વસવલિયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ).
