અંબાણી પરિવારના જામનગરમાં ધામા:એક મહિનાથી મુકેશ અંબાણી સહપરિવાર રિલાયન્સ ટાઉનશિપના બંગલામાં, એન્ટિલિયા છોડવાનું કારણ વઝેપ્રકરણ કે કોરોના?

By Abhishek Raghuvanshi
3 Min Read
મુકેશ અંબાણી પરિવાર – ફાઇલ તસવીર.
  • રિલાયન્સ ટાઉનશિપમાં TMC બંગલોઝની સિક્યોરિટી વધારાઈ
  • આટલો બધો લાંબો સમય એન્ટિલિયા છોડવાનું કારણ મુંબઈમાં કોરોનાના વધતા કેસો કે પછી વઝેપ્રકરણ હોવાના તર્કવિતર્ક

રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી મુંબઈ છોડીને જામનગરમાં છે. અંબાણી પરિવાર જામનગર પાસે આવેલી તેમની રિલાયન્સ ટાઉનશિપમાં રહી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

રિલાયન્સ ટાઉનશિપની સિક્યોરિટી વધારાઈ
જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપમાં આવેલા ટીએમસી બંગલોઝની બાજુમાં તેમનું ભવ્ય નિવાસસ્થાન છે, જ્યાં આ પરિવાર રહેતો હોવાનું સૂત્રો કહે છે. જોકે આ વાતને રિલાયન્સ ગ્રુપ દ્વારા સત્તાવાર સમર્થન મળ્યું નથી. જોકે રિલાયન્સ ટાઉનશિપમાં સિક્યોરિટી વધારી દેવાઈ છે, જેના પરથી ચોક્કસપણે અંબાણી પરિવાર જામનગરમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે આટલા લાંબા સમયથી મુંબઈ છોડીને અહીં રહેવા પાછળનાં કારણો વિશે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે.

ફાઈલ તસવીર.

મુંબઈ છોડવાનું કારણ અકબંધ
મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકથી વિસ્ફોટકો ભરેલી કાર મળ્યા બાદ આ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ એપીઆઈ સચિન વઝેની ધરપકડ કરી છે. ત્યાર બાદ રોજેરોજ નવા વળાંકો આવી રહ્યા છે. અંબાણી પરિવાર એક મહિનાથી જામનગરમાં હોવા પાછળ પણ આ પ્રકરણ કારણભૂત હોવાનું મનાય છે.

ફાઈલ તસવીર.

જોકે બીજી તરફ મુંબઈમાં કોરોનાના વધતા કેસોને પગલે અંબાણી પરિવાર જામનગરમાં આવી ગયો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જોકે સત્તાવાર સૂત્રોએ અંબાણી પરિવાર આટલા લાંબા સમયથી જામનગર શા માટે રહી રહ્યો છે એ અંગે કોઈ સ્પષ્ટતા નહીં કરતાં તેમના જામનગરના વસવાટ અંગે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.

- Advertisement -

શું છે એન્ટિલિયાની બહાર વિસ્ફોટકનો મામલો?
25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઊભેલી મળી હતી. 24 ફેબ્રુઆરીની મધ્યરાતે 1 વાગ્યે આ ગાડી એન્ટિલિયાની બહાર પાર્ક કરવામાં આવી હતી. બીજા દિવસે ગુરુવારે એ પોલીસની નજરમાં આવી અને કારમાંથી 20 જિલેટીનની સ્ટિક્સ મળી હતી. 5 માર્ચે સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનું શબ મળ્યું હતું. થોડા દિવસો પહેલાં જ મનસુખે આ ગાડી ખોવાયો હોવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

એન્ટિલિયા બહાર વિસ્ફોટકોથી ભરેલી એક સ્કોર્પિયો કાર પાર્ક કરેલી મળી આવી હતી.

સચિન વઝે કોણ છે?
1990માં વઝે પીએસઆઈ તરીકે મુંબઈ પોલીસમાં જોડાયા હતા. મુંબઈના 63 એન્કાઉન્ટરમાં તેમનો સહભાગ છે. એમાં છોટા રાજન, દાઉદ ઈબ્રાહિમના અનેક ગુંડાઓનો સમાવેશ થાય છે. હાલમાં રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામીની ઘરમાંથી ધરપકડ કરવામાં આવી એ ટીમનું નેતૃત્વ વઝેએ કર્યું હતું. 2002માં ઘાટકોપર બોમ્બવિસ્ફોટના આરોપી ખ્વાજા યુનુસના રહસ્યમય મૃત્યુ પ્રકરણે વઝે સહિત 14 પોલીસને 2004માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 30 નવેમ્બર, 2007માં વઝેએ પોલીસ દળમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી 2008માં શિવસેનામાં જોડાયા હતા. રાજ્યમાં શિવસેનાની આગેવાની હેઠળની સરકાર આવતાં 6 જૂન, 2020ના રોજ 13 વર્ષ પછી તેઓ પાછા પોલીસદળમાં આવ્યા હતા.

Exit mobile version