- એપ્રિલ 2020 કરતાં પણ અમદાવાદની ગંભીર સ્થિતિ
- પરિવારજનો સ્મશાનમાં વેઈટિંગને કારણે રાહ જોઈ રહ્યાં હતાં
- પૂર્વ વિસ્તારની કોરોનાની ડેડીબોડીઓને વેઈટિંગ હોવાથી પશ્ચિમમાં લઈ જવાનું કહેતા હતા
અમદાવાદ શહેરમાં કોરોનાની સૌથી વધુ ગંભીર સ્થિતિ એપ્રિલ 2020માં હતી, પણ હવે એનો પણ વિક્રમ તૂટી ચૂક્યો છે, કારણ કે અમદાવાદની સ્થિતિ હવે એનાથી પણ ખરાબ થઈ રહી છે. અમદાવાદમાં સરકારી આંકડા પ્રમાણે, રોજ 3 કે 4નાં જ મોત જોવા મળે છે, પરંતુ તેની વાસ્તવિકતા જાણવા દિવ્યભાસ્કરની ટીમે સિવિલ હોસ્પિટલના કોવિડ ડેડબોડી વિભાગમાં કેવી સ્થિતિ છે અને કેટલાં મોત થાય છે એ અંગે જાણવા પ્રયાસ કર્યો હતો.
12 કલાકમાં એક પછી એક 17 ડેડબોડી નીકળી
સવારના 7 વાગ્યાથી રાતના 7 વાગ્યા સુધી અહીં દિવ્યભાસ્કરની ટીમ હાજર હતી. આ દરમિયાન એક-બે નહીં, પણ 17 કોરોનાની ડેડબોડી બહાર નીકળી હતી. એક સમયે કોરોનાના ડેડબોડી કમ્પાઉન્ડમાં વેઈટિંગમાં સ્ટ્રેચરમાં મૂકવામાં આવી હતી, જ્યારે બહાર સ્વજનો ડેડબોડી મેળવવા માટે રાહ જોઇને ઊભા હોય એવી સ્થિતિ હતી.
શહેરમાં કોરોનાથી મોતના આંકડા ગંભીર
રાજ્યમાં કોરોનાના કેસો હાલ દરરોજ નવો રેકોર્ડ કરી રહ્યો છે. એક તરફ પોલીસ કડક કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે તો બીજી તરફ કોરોનાનો ગ્રાફ ટોચ પર છે. અમદાવાદ અને સુરતમાં જે રીતે કેસો વધી રહ્યા છે, જો એ સ્થિતિ જ રહી તો આગામી દિવસોમાં તમામ હોસ્પિટલ ફુલ થઈ જશે. હાલ કોરોનાને કાબૂમાં લેવા અને દર્દીઓની સારવાર માટે સરકાર પ્રયાસો કરી રહી છે. એની સામે કોરોનાને કારણે થતાં મોતના આંકડા ગંભીર રીતે વધી રહ્યા છે.
એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી તૈયાર
કોરોનાને કારણે ખરેખર કેટલાં મોત અમદાવાદ શહેરમાં થાય છે એ માટે રાજ્યની સૌથી મોટી કોરોના 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં 12 કલાકમાં જ 17 ડેડબોડી બહાર નીકળી હતી. આ સમયે મૃતકોનાં સ્વજનો કહેતાં હતાં કે હજી રાત્રે તો દર્દી સાથે વાત થઈ છે અને સવારે અમને ફોન આવ્યો કે તમારા સ્વજનનું મોત થયું છે. બીજી તરફ, ડેડબોડી નિકાલ કરવાના સમયે એક એમ્બ્યુલન્સ બહાર એક જાય અને બીજી તૈયાર હતી. આ દૃશ્ય ભયાનકતાની ચાડી ખાતું હતું. એની સાથે સાથે દર્દીનાં સ્વજનો ત્યાં પહેરેલાં માસ્ક અને ગ્લવ્ઝ પણ ફેંકી દેતાં નજરે ચડ્યાં હતાં.
સ્મશાનમાં પણ વેઈટિંગ
1200 બેડ હોસ્પિટલની પાછળ કોવિડ ડેડબોડી સોંપવામાં આવતી હતી, જ્યાં સતત સ્વજનો દુઃખી ચહેરે આવતાં હતાં. ડેડબોડીનું વેઈટિંગ ખૂબ ચિંતાજનક હતું. ડેડબોડી મળ્યા બાદ સ્મશાન લઈ જાય તેમજ એની સાથે તો ત્યાં પણ વેઈટિંગ જોવા મળ્યું હતું. પૂર્વ વિસ્તારમાં રહેતા પરિવારને અર્ચર લઈ જવા માટે કહેવાયું હતું.
