હવે જૂનું એ ભંગાર?:ગુજરાતનાં 15 વર્ષ જૂનાં સવા કરોડ જેટલાં વાહનો ‘ભંગાર’માં આપી દેવાં પડશે, 13 ઓગસ્ટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગાંધીનગરમાં જાહેરાત કરશે

By Abhishek Raghuvanshi
3 Min Read
  • રિયુઝ, રિડયુઝ અને રિસાઇકલ ત્રણ ‘આર’ પર આધારિત આ પોલિસી દેશભરમાં લાગુ પડશે
  • કેન્દ્રીય પરિવહનમંત્રી રોડમેપની જાહેરાત કરશે
  • સાણંદ,બેચરાજી, માંડલ અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં જ સ્ક્રેપ વ્હીકલ યાર્ડ બનાવવામાં આવી શકે છે

ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીને લઈને ગુજરાતમાં 13મી ઓગસ્ટે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીનો એક કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના સવા કરોડથી વધુ 15 વર્ષ જૂનાં વાહનોનો સ્ક્રેપ ભંગારવાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે રોડમેપ જાહેર કરવામાં આવશે. એમાં સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં જ આ સ્કેપ વ્હીકલ યાર્ડ બનશે.

ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી
કેન્દ્ર સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી. આ પોલિસીના આધારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જાહેરાત કરશે, જેમાં ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ ત્રણ ‘R’ પર આધારિત આ પોલિસીનો રોડમેપ જાહેરાત કરવામાં આવશે. સ્ક્રેપ યાર્ડ મોટે ભાગે ઓટોમોબાઇલ હબની આસપાસ બનાવવામાં આવશે. ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન:ઉપયોગ કરવાને લઈને ભાર આપવામાં આવ્યો છે.

જૂનાં વાહનોથી રાજ્યમાં પ્રદૂષણ વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે. ( ફાઈલ ફોટો)

રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે
જૂનાં વાહનોને કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદૂષણની માત્રાને નિયંત્રિત કરવા માટે થઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્રારા વારંવાર ભારત સરકાર અને રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે, જેમાં 15 વર્ષ જૂનાં વાહનો પર પ્રતિબધં મૂકવો એવો પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગત બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે 15 વર્ષ જૂનાં વાહનો છે. એ વાહનો ભંગારવાડે લઈ જઈને સ્ક્રેપ કરવાં પડશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગાંધીનગરમાં જાહેરાત કરશે (ફાઈલ ફોટો).

ગુજરાતમાં ભંગારવાડા તૈયાર કરવામાં આવશે
આ વાહનોના નિકાલ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે કોઈ મહત્ત્વની સિસ્ટમ અને પોલિસી ન હોવાથી વાહનો જે–તે સ્થિતિમાં રોડ પર દોડતાં રહે છે. પરિણામે, વાહન અકસ્માત પ્રદૂષણ તેમજ ભંગાર વાહનોના નિકાલના પ્રશ્નો શિરદર્દ સમાન બની ચૂક્યા છે. ગુજરાત સહિત દેશમાં 15 વર્ષ જૂનાં વાહનોના સ્ક્રેપ માટે નવા ઉદ્યોગોની દિશા ખોલવા ભારત સરકાર તૈયાર છે, જેના ભાગરૂપે ગુજરાતમાં આવેલા ઓટોમોબાઇલ હબની આસપાસ આવા ભંગારવાડા તૈયાર કરવામાં આવશે, એવું વાહન વ્યવહાર વિભાગના ટોચનાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળે છે. સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી, જ્યાં ઓટોમોબાઇલ સેઝ આવેલા છે એ સેઝની અંદર જ આ સ્કેપ વ્હીકલ યાર્ડ બનશે.

- Advertisement -
Exit mobile version