- મૃત બાળકોનું પોસ્ટમોટર્મ કરનારા તબીબની કોર્ટમાં ઊલટતપાસ
- 27મીના રોજ વધુ એક ડોક્ટરની સર-ઊલટતપાસ થશે
તક્ષશિલા અગ્નિકાંડમાં 14 આરોપી સામે ચાર્જફ્રેમ થયા બાદ શુક્રવારથી ન્યાયિક પ્રક્રિયાની શરૂઆત થઈ હતી. 5 વિદ્યાર્થીના પીએમ કરનારા ડોક્ટરની અઢી કલાક સુધી સર-ઊલટતપાસ કરાઇ હતી. ઊલટતપાસમાં ડોક્ટરને બચાવ પક્ષના વકીલોએ 60 સવાલ કર્યા હતા.
હવે આગામી 27મી જુલાઇના રોજ વધુ એક ડોક્ટરની સર-ઊલટતપાસ કરવામાં આવશે. આ ડોક્ટરે પણ પાંચ પીએમ કર્યા હતા. સર-તપાસ દરમિયાન ડોક્ટરે વિદ્યાર્થીઓના શબની જે સ્થિતિ બતાવી હતી એ અત્યંત દયનીય હતી. ડોક્ટરના કહેવા મુજબ, વિદ્યાર્થીઓની આંખની કીકી ઝાંખી થઈ ગઈ હતી. ફેફસાં ફૂલી ગયાં હતાં અને મગજ નરમ પડી ગયાં હતાં. શુક્રવારે કોર્ટ પ્રોસિજર દરમિયાન વાલીઓ પણ કોર્ટરૂમની બહાર હાજર હતા. ડોક્ટરની ઊલટતપાસ એડવોકેટ કિરીટ પાનવાલા અને કેતન રેશમવાલાએ લીધી હતી.
ડોક્ટરે સર-તપાસમાં કરેલું વર્ણન કંપાવનારું
સવાલ 11 કલાકે ડોક્ટર જુબાની માટે કોર્ટમાં હાજર થયા હતા, જેમાં સ્પે. PPPN પરમાર અને ફરિયાદ પક્ષના વકીલ પીયૂષ માંગુકિયા હાજર હતા. ડોક્ટરે જે પીએમ કર્યા હતા એની સ્થિતિ જણાવતાં કહ્યું હતું કે મગજના પોલાણમાં અમુક જગ્યાએ ફાટેલું હતું. હાડકાંઓ છૂટાં હતાં. મગજ નરમ થઈ ગયાં હતાં. માથામાં સાડાચાર ઇંચનો ઘા હતો. ડીએનએમાં દાંતના સેમ્પલ લેવાયા હતા.
પાંચેય પીએમ મેં એકલાએ કર્યા છે: ડોક્ટર
ડોક્ટરે કહ્યું હતું, એ વાત ખરી નથી કે ઇન્કવેસ્ટ પંચનામા તથા પોલીસયાદી પરથી પોલીસના માગ્યા મુજબ પીએમ નોટ તૈયાર કરી આપેલી. પાંચેય પીએમ મેં એકલાએ કર્યા છે, પેનલમાં કર્યા નથી. બોડી કેટલા ટકા બળી જાય તો માણસ ગુજરી જાયે એ હું કહી શકું નહીં. એ વાત ખરી કે વાઝોવેઝલ શોકમાં માણસ કઇ અસાધારણ જુએ અથવા આગનું લાગવું ને એનાથી બચવા બહાર નહીં નીકળી શકવાનો આઘાત વાઝોવેઝલ શોકથી મૃત્યુ લાવી શકે.
