શ્રદ્ધાંજલિ:ગુજરાતના સૌથી લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી અને વિદેશમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, સીએમ રૂપાણીએ રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી

By Abhishek Raghuvanshi
4 Min Read
  • માધવસિંહ સોલંકીના નામે સૌથી વધુ 149 વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ છે, જે પીએમ મોદી પણ તોડી શક્યા નથી
  • ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની સૌથી નજીક હતા માધવસિંહ સોલંકી
  • ખામ થિયરી અને મધ્યાહન ભોજનનો વિચાર સૌથી પહેલા તેમણે રજૂ કર્યો હતો
  • પત્રકાર અને સાહિત્યના બેકગ્રાઉન્ડમાંથી મુખ્યમંત્રી બન્યા હતા, તેઓ કેન્દ્રમાં વિદેશમંત્રી પણ રહી ચૂક્યા હતા

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસનેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.

સ્વ.માધવસિંહના સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક: સીએમ રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ.માધવસિંહ સોલંકીના અંતિમસંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે, સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી માધવસિંહને શ્રદ્ધાંજલિ અર્પી

ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ પોતાના 94મા જન્મદિવસની ઉજવણી ગાંધીનગરમાં કરી હતી. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં તેમના પુત્ર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો તેમને જન્મદિવસની શુભકામના આપવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી માધવસિંહને શ્રદ્ધાંજલિ અર્પી

- Advertisement -
2017માં ગુજરાત યાત્રા વખતે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી માધવસિંહને મળવા ગયા હતા.
નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓ હોસ્પિટલ જઈ માધવસિંહના ખબરઅંતર પૂછ્યા હતા.

માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેમણે 1881માં ફરી એકવાર ગુજરાતની સત્તા સંભાળી હતી. તેમણે સામાજિક અને આર્થિક રૂપથી પછાત વર્ગો માટે આરક્ષણની શરૂઆત કરી હતી, ત્યાર બાદ તેમણે 1985માં પદેથી રાજીનામું આપ્યું હતું, પરંતુ ફરી તેમણે વિધાનસભાની 182 બેઠકમાંથી 149 બેઠક જીતી સત્તા સંભાળી હતી. આ દિન સુધી તેમનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 2016માં ગુજરાતના પ્રવાસ દરમિયાન જૂના મિત્ર માધવસિંહની મુલાકાત લીધી હતી.

સ્વ.માધવસિંહના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા રાજ્યપાલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
રાજ્યપાલે સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે, સ્વ.સોલંકીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતી. તેમની સાહિત્ય પ્રીતિ, વહીવટી કુશળતા અને વિકાસલક્ષી અભિગમ હંમેશાં યાદ રહેશે. રાજ્યપાલે જણાવ્યું હતું કે, સ્વ. સોલંકીના અવસાનથી ગુજરાતે એક કાર્યદક્ષ રાજનીતિજ્ઞ ગુમાવ્યા છે અને ગુજરાતના જાહેરજીવનમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. રાજ્યપાલે પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચિર શાંતિ અર્પે અને પરિવારજનો ઉપર આવી પડેલા અણધાર્યા દુઃખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીની 1985માં લેવાયેલી તસવીર.
પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી તેમજ માધવસિંહ સોલંકીની 1982માં લેવાયેલી ખાસ તસવીર.
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે માધવસિંહ સોલંકીની ખાસ તસવીર.
Exit mobile version