- સાંતાક્લોઝની જેમ દિવાળીમાં રામ, હનુમાનજી, ગણેશજી અને લક્ષ્મીજીના રૂપમાં બાળકોને ફટાકડા-ચોકલેટની ગીફ્ટ અપાઈ
રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે ગરીબ બાળકોને ફટાકડા અને ચોકલેટની ગિફ્ટ આપવામાં આવી હતી. સાંતાક્લોઝની જેમ દિવાળીમાં રામ, હનુમાનજી, ગણેશજી અને લક્ષ્મીજીના રૂપમાં બાળકોને ફટાકડા-ચોકલેટની ગિફ્ટ આપવામાં આવી હતી. ગિફ્ટ આપ્યા બાદ ભાજપના એક કાર્યકરે બાળકોના બાવડા પકડી ખેચી એક તરફ ધકેલતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. બાવડા પકડી કાર્યકર બાળકોને ધકેલતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ત્યારે લોકોમાં ચર્ચા ઉઠી છે કે, શું ગરીબ બાળકો સાથે આ મજાક કરવામાં આવી રહી છે? એક તરફ ગિફ્ટ આપો છો અને બીજી તરફ બાળકો સાથે અણછાજતું વર્તન કરો છો.
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયત્ન
જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, જેમ ક્રિસમસના તહેવારોમાં વિશ્વભરના બાળકોમાં એવી માન્યતા પ્રસ્થાપિત કરવામાં આવી છે કે સાંતા આવશે અને અવનવી ભેટ આપશે. તેવી જ રીતે દિવાળીના પર્વમાં પ્રભુ શ્રીરામ, હનુમાનજી, ગણેશજી અને લક્ષ્મીજી પધારે તો કેવું લાગે. બસ આ વિચાર માત્રને રાજકોટ જિલ્લા ભાજપ સંસ્કૃતિક સેલ દ્વારા આ વખતે અમલમાં મુકવામાં આવ્યો હતો. આ વખતે દુકાનો અને મોલની બહારના ભાગે ભગવાન રામ, હનુમાનજી, ગણેશજી અને લક્ષ્મીનીના રૂપમાં લોકોને ઉભા રાખવામાં આવ્યા અને તેમના મારફત બાળકોને ચોકલેટ અને અન્ય ગિફ્ટ આપી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે.
લોકોની માનસિકતા બદલવા પ્રયત્નઃ બિહારીહેમુ ગઢવી
ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર અને લોકગાયક બિહારીહેમુ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ જિલ્લા સાંસ્કૃતિ સેલ દ્વારા નવા વિચાર સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનો આવે એટલે દરેક બાળકોને એવો વિચાર આવે કે સાંતાક્લોઝ આવશે અને ગિફ્ટ આપશે. ત્યારે આપણા હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીએ આપણા ભગવાનના રૂપમાં બાળકોને ગિફ્ટ આપવામાં આવે તો લોકોની માનસિકતા બદલાશે. આજે અમે હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના રૂપમાં બાળકોને ફટાકડા-ચોકલેટની ગિફ્ટ આપી રહ્યા છીએ.
