શિક્ષણમાં લોલમલોલ:પ્રાથમિક શાળાઓમાં લાયકાત અને તાલીમ વગરના શિક્ષકો બાળકોને ભણાવે છે, શિક્ષણમંત્રીની કબૂલાત

By Abhishek Raghuvanshi
2 Min Read
  • અમદાવાદમાં 2967, અમરેલીમાં 319, ગાંધીનગરમાં 148, રાજકોટમાં 588 લાયકાત વિનાના શિક્ષકો
  • જ્યારે બનાસકાંઠામાં 443 અને પાટણમાં 45 લાયકાત વિનાના શિક્ષકો છે

ગુજરાતમાં શિક્ષણનો સ્તર કેટલો કથળી ગયો છે એ વિધાનસભામાં શિક્ષણમંત્રીએ આપેલી લેખિત માહિતીમાંથી બહાર આવ્યું છે, રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર સહિતના 6 જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના અને તાલીમ વિનાના 4510 શિક્ષકો હોવાની કબૂલાત કરી હતી. એક બાજુ, તાલીમ અને લાયકાત ધરાવતા શિક્ષકોને નોકરીઓ મળતી નથી અને બીજી બાજુ, અણઘડ શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે.

6 જિલ્લામાં 4510 શિક્ષકો લાયકાત વગરના
ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણમાં ચાલતી લોલમલોલને ઉઘાડી પાડવા પ્રશ્ન પૂછ્યા હતા કે સરકારે ઠરાવેલી શૈક્ષણિક લાયકાત અને નિયત તાલીમ વગરના શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે કે કેમ? આ પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણમંત્રીએ કબૂલ્યું હતું કે રાજ્યના 6 જિલ્લામાં 4510 શિક્ષકો લાયકાત વગરના છે.

તસવીર પ્રતીકાત્મક છે.

સૌથી વધુ અમદાવાદ 2967 શિક્ષકો
પ્રાથમિક શાળાઓમાં લાયકાત અને તાલીમ વગરના શિક્ષકો અંગે શિક્ષણમંત્રીએ આપેલા જવાબમાં કહ્યું હતું કે અમદાવાદમાં 2967, ગાંધીનગરમાં 148, પાટણમાં 45, અમરેલીમાં 319, બનાસકાંઠામાં 443 અને રાજકોટમાં 588 લાયકાત વિનાના પ્રાથમિક શિક્ષકો કામ કરી રહ્યા છે.

તસવીર પ્રતીકાત્મક છે.

શાળાઓને નોટિસ આપવા જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના
આવા લાયકાત વિનાના શિક્ષકોની ભરતી અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે RTE 2009 અમલમાં આવ્યા પહેલાં ધોરણ 1થી 7ની પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટે પીટીસીની લાયકાત ગણવામાં આવતી હતી, આર.ટી.ઈ. એકટ અમલમાં આવ્યા બાદ ધોરણ 1થી 5 માટે પીટીસી સમકક્ષ અને ધોરણ 6થી 8 માટે તાલીમી સ્નાતક કક્ષાની લાયકાત નક્કી કરવામાં આવેલી છે. એટલું જ નહીં, આ ઉપરાંત તાલીમી શિક્ષકો ના મળવાને કારણે આવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકોને દૂર કરવા અંગે જે-તે શાળાઓને નોટિસ આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
Exit mobile version