- 6 દીવસ પહેલા પાટણમાં નિરામય ગુજરાત અભિયાન કાર્યક્રમમાં પણ ભૂપેન્દ્ર પટેલના બદલે CM તરીકે વિજય રૂપાણીનું નામ બોલ્યા હતા
રાજકોટમાં આજે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે થઇ રહી છે. આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની જીભ લપસી હતી. તેઓએ પોતાના ભાષણ દરમિયાન વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બદલે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેને લઈ થોડા સમય માટે સમારોહ સ્તબ્ધ થઇ ગયો હતો. પોતાની ભૂલનું ભાન થતા તેમણે તુરંત ભૂલ સુધારી CM ભૂપેન્દ્ર પટેલનો ઉલ્લેખ કર્યો હતો.
6 દીવસ પહેલા પાટણમાં ભગો કર્યો
ભાજપના કાર્યકરોમાં એવું પણ ચર્ચાય રહ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા દ્વારા ભુપેન્દ્ર પટેલના નેતૃત્વનો મંચ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણકે આજથી 6 દીવસ પહેલા પાટણ ખાતે જન આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખી બીન ચેપી રોગો માટે સ્કીનીંગથી સારવાર સુધીના મહા અભિયાનનો શુક્રવારના રોજ શહેરની એમ.એન.હાઇસ્કૂલ ખાતે રાજય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને નિઃશુલ્ક મેગા કેમ્પનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારે પણ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ભૂપેન્દ્ર પટેલના બદલે CM તરીકે વિજય રૂપાણીનું નામ બોલ્યા હતા.
ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો
ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. 3 દિવસ પહેલા પહેલા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. ભાજપનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને પાસે બોલાવી આમંત્રણપત્રિકામા શું લોચો છે એમ કહી ખખડાવ્યા હતા. આ સમયે જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા. ત્યારે રૂપાણીએ રામ મોકરિયાને રોકડું પરખાવી કહી દીધું હતું કે તમે બેસી તમારી સાથે વાત નથી કરતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. થોડીવાર માટે તો સ્ટેજ પર તણાવભરી સ્થિતિ પણ ઉદભવી હતી.
