બેદરકારી:સુરતમાં અજાણ્યાએ ગડદાપાટુ અને પટ્ટાથી માર માર્યા બાદ સારવાર દરમિયાન યુવકનું મોત, 24 કલાક બાદ પણ PM ન થયું

By Abhishek Raghuvanshi
2 Min Read
યુવકને ઈજા પહોંચી હોવાનાં નિશાન મળી આવ્યાં હતાં.
  • દર્દીનાં હાથ-છાતી, પીઠ પર ઇજાનાં ગંભીર નિશાન મળી આવતાં સર્જરીમાં રિફર કરાયો હતો

સુરતના પરવત પાટિયા નજીક જાહેરમાં અજાણ્યા ઇસમોના મારનો ભોગ બનેલા યુવકનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. જોકે 24 કલાક પછી પણ પોસ્ટમોર્ટમ ન થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. અનિલ સુખદેવ તાઈડેને 108માં સિવિલ લવાયા બાદ તેણે મેડિકલ ઓફિસરને જણાવ્યું હતું કે ત્રણ જણાએ ગડદાપાટું અને પટ્ટા વડે માર માર્યો હતો.

સર્જરીમાં રિફર કરાયો હતો
નામ ન લખવાની શરતે મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે MLC ચોપડામાં દર્દીને 30 મીએ સવારે 10 વાગે 108માં દર્દીને સિવિલ હોસ્પિટલ લવાયો હતો. ત્રણ અજાણ્યા ઈસમોએ માર માર્યો હોવાનું જણાવ્યું હતું. મેડિકલ ઓફિસર આરતીબેને આ કેસને ઓપરેટ કર્યા બાદ શરીર પર મારનાં નિશાનનો MLC ચોપડામાં ઉલ્લેખ કર્યો છે. હાથ-છાતી, પીઠ પર ઇજાનાં ગંભીર નિશાન મળી આવતાં સર્જરીમાં રિફર કરાયા બાદ દાખલ કરાયો હતો.

યુવકને માર પડ્યા બાદ સારવાર દરમિયાન સિવિલમાં મોત થયું હતું.(ફાઇલ તસવીર).

ફોરેન્સિક પીએમ કરાશે
સારવાર દરમિયાન મોતને ભેટેલા અનિલ તાઈડેના દાખલ કેસ પેપરમાં પણ માર મરાયો હોવાનું ડોક્ટરને કહ્યું હતું, જેમાં પણ સારવાર કરનારા ડોક્ટરોએ ઇજાનાં નિશાન બતાવ્યાં છે. એટલું જ નહીં, પણ સર્જરી વિભાગે અનિલના મૃત્યુનું કારણ માથા અને છાતીના ભાગની ઇજા હોવાનું બતાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આજે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવી શકે છે. પુણા પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી કરી રહી છે.

Exit mobile version