નવા IT નિયમો પર ચાલી રહેલા વિવાદો વચ્ચે ટ્વિટરે ભારતના ઉપ-રાષ્ટ્રપિત એમ. વેંકૈયા નાયડુ અને સંઘના ઘણા નેતાઓનાં અંગત ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી હતી. જોકે વિવાદ વકરતાં ટ્વિટરે ગણતરીના સમયગાળામાં નાયડુના અકાઉન્ટને ફરીથી વેરિફાય કરી દીધું હતું. ઉપ-રાષ્ટ્રપતિના કાર્યાલયના ઓફિશિયલ હેન્ડલ પર પહેલેથી જ ટિક લગાડવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, નાયડુનું અકાઉન્ટ ગત મહિને એક્ટિવ નહોતું, જે કારણોસર હેન્ડલને અનવેરિફાય કરાયું હતું.
RSSના ઘણા નેતાઓનાં અકાઉન્ટ પણ અનવેરિફાય
RSSના ઘણા નેતાઓનાં ટ્વિટર અકાઉન્ટને પણ ટ્વિટરે અનવેરિફાય કર્યા હતા, જેમાં અરુણ કુમાર, ભૈયાજી જોશી અને સુરેશ જાની જેવાં દિગ્ગજ નામ પણ સામેલ છે. જોકે સંઘપ્રમુખ અને અન્યનાં અકાઉન્ટ પણ ફરીથી વેરિફાય થયાં હોય એમ શો કરાઈ રહ્યું છે. આ દરમિયાન ભાજપ મુંબઈના પ્રવક્તા સુરેશ નખુઆએ ટ્વિટરની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ભારતના સંવિધાન પર હુમલો છે.
છેલ્લા 11 મહિનાથી એકપણ ટ્વીટ નહોતું
ઉપ-રાષ્ટ્રપતિના અકાઉન્ટને 11 લાખ લોકો ફોલો કરે છે. તેમના ટ્વિટર અકાઉન્ટથી ગત 11 મહિનાથી એકપણ ટ્વીટ નહોતું થયું. આ અકાઉન્ટથી 23 જુલાઈ 2020ના રોજ અંતિમ વેળા ટ્વીટ કરાયું હતું.
મંત્રાલય ટ્વિટરથી નારાજ
આઇટી મંત્રાલય ટ્વિટરની એકપક્ષી કાર્યવાહીથી નારાજ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયનું માનવું છે કે દેશની નંબર -2 ઓથોરિટીની વ્યક્તિ સાથે આવી કાર્યવાહી કરી શકાતી નથી. આની પાછળ ટ્વિટરનો આશય ખોટો છે. આ મામલે ટ્વિટરની દલીલ પણ સાવ ખોટી છે.
બ્લુ ટિક શું હોય છે?
ટ્વિટર અનુસાર, બ્લુ વેરિફાઇ્ડ બેડ્જ (બ્લુ ટિક)નો અર્થ એ છે કે અકાઉન્ટ લોકોના હિતમાં અને વાસ્તવિક છે. આ નિશાની મેળવવા માટે સક્રિય ટ્વિટર અકાઉન્ટ હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હાલમાં ટ્વિટર સરકારી કંપનીઓ, બ્રાન્ડ્સ અને નફાકારક સંસ્થાઓ, સમાચાર સંસ્થાઓ અને પત્રકારો, મનોરંજન, રમતો અને ઇ-રમતો, કાર્યકરો, આયોજકો અને અન્ય પ્રભાવકોનાં વિશિષ્ટ અકાઉન્ટ્સની ચકાસણી કરે છે.
ટ્વિટર કેવી સ્થિતિમાં બ્લૂ ટીક હટાવે છે
ટ્વિટરની શરતો અનુસાર, જો કોઈ પોતાના હેન્ડલનું નામ બદલે અથવા એકાઉન્ટનો ઉપયોગ નથી કરતો, જેના આધારે વેરિફાય કરાયું હતું. આવી પરિસ્થિતિમાં બ્યૂ ટિકને હટાવવામાં આવે છે.
નવા IT નિયમો અંતર્ગત વિવાદો યથાવત
અત્યારે ભારત સરકારની નવી ગાઈડલાઇનને કારણે ટ્વિટર અને સરકાર વચ્ચે થોડુ ઘર્ષણ જોવા મળી રહ્યું છે. નવી ગાઈડલાઈનને અત્યારસુધી ટ્વિટરે સ્વીકારી નથી. વળીં, કેટલાક દિવસો પહેલા કથિત ટૂલકિટ કેસમાં દિલ્હી પોલીસે ટ્વિટર ઈન્ડિયાની દિલ્હી અને ગુરૂગ્રામની ઓફિસમાં રેઈડ કરી હતી.
