- અલિયાબાડા ગામમાં 25થી વધુને રેસ્ક્યૂ કરાયા, બચાવ કામગીરી હજી પણ ચાલુ
- જામનગરના કાલાવાડમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો
- ગ્રામ્ય વિસ્તારમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાયા
- જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો
- ફસાયેલા લોકોને બચાવવા NDRF અને SDRFની ટીમ રવાના
જામનગર જિલ્લો કે જે હાલાર પંથકથી ઓળખાય છે, ત્યાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગર જિલ્લામાંના ગામડાઓમાં તો ઘરના ઘર ડૂબી ગયા છે. લોકો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે, તેવી હાલત થઇ છે. તંત્ર પણ લાચાર છે, માણસો પણ કુદરતના કોપ સામે લાચાર બની ગયા છે. હાલાર અત્યારે લાચાર છે.
મોટીબાણુગાર આખુ ગામ બેટમાં ફેરવાયું
જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચુક્યાં છે. જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ જામનગરમાં 3.25 ઈંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. જામનગરના મોટીબાણુગારમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. ગામમાં અત્યારસુધીમાં 22 ઇંચ જેટલો વરસાદ નોંધાતા આખુ ગામ બેટમાં ફેરવાયું છે.
ધુવાવ ગામ બેટમાં ફેરવાયું
જામનગર તાલુકાના ધુવાવ ગામમાં પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ છે. તેમજ આખું ગામ બેટમાં ફેરવાયું છે. ત્યારે પંચકોશી પોલીસ સ્ટેશનનના સ્ટાફ સહિત લોકોને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત જામનગર તાલુકાના અલીયાબાડા, ખીમરાણા ગામમાં હેલિકોપ્ટરની મદદથી રેસ્કયૂંની કામગીરી ચાલી રહી છે.
જામનગર-રાજકોટ હાઈવે સંપર્ક વિહોણો
ભારે વરસાદના પગલે જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે સંપર્ક વિહોણો થયો છે. જામનગર શહેરની બહાર નીકળવાના તમામ ખીજડીયા બાયપાસ, ઘુવાવ પાસે આવેલા પૂલ અને હાઇવે પર પાણી ફરી વળ્યા છે.
પંચકોશી આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો
જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે. આજુબાજુના વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. દુઆ ગામમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
વોરાના હજીરા પાસે પૂલ પર પાણી ફરી વળ્યા
શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કાલાવડ નાકા બહાર તેમજ વોરાના હજીરા પાસે પૂલ પર પાણી ફરી વળ્યા છે. લોકોને સ્થળાંતર કરવા માટે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે.
રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી
ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ગામમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઇ ગયા હતા. ગામડામાં પાણી ભરાઈ જતા લોકો બીજા માળે ચડી ગયા હતા અને કેટલાય ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. આ પ્રકારનો વરસાદ ઇતિહાસમાં પહેલી વાર વરસ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે લોકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
પાણી હાઇવે પર ફરી વળ્યા
જામનગર-કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદના કારણે બંધ થયો છે. વોકરા અને નદી-નાળામાંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે, જેના કારણે વિજરખી પાસે કોઝવે પર પાણી ફરી વળતા જામનગર કાલાવડ હાઈવે બંધ થયો છે.
રણજીતસાગર ડેમ ઓવરફ્લો
જામનગર શહેરને જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ દિવસમાં ઓવરફ્લો થયો હતો. જેથી જામનગર શહેરને પીવાના પાણીનું જળ સંકટ ટળ્યું હોવાથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
મોટાભાગના ગામડાઓના સંપર્ક થતા નથી
ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે. રવિવારે દિવસે તેમજ રાત્રે જામનગર તાલુકાના મોટાભાગના ગામડામાં ભારે વરસાદ વરસ્યો છે અને અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે. ઘણા ગામડાઓમાં નદી અને વોકરાના પાણી ઘુસી ગયા છે. લોકો જીવ બચાવવા માટે મકાનના બીજા માળે ચઢી ગયા છે. મોટાભાગના ગામડાઓના સંપર્ક થતા નથી. જામનગર તાલુકામાં આવેલા તમામ ડેમો એક દિવસમાં છલકાઈ ગયા છે અને હું માનું છું ત્યાં સુધી ઈતિહાસમાં ન થયો હોય તેટલો વરસાદ એક દિવસ એટલે કે 24 કલાકમાં અતિ ભારે વરસાદ પડ્યો છે.
વધુમાં જણાવ્યું કે, આ પરિસ્થિતિમાં જામનગર વિસ્તારના લોકો તકલીફમાં મુકાયા છે. લોકોની જાન-માલ તેમજ પશુ બચાવવા માટે મેં તાત્કાલિક રાજ્યના સચિવ, રાજ્ય સરકાર, કલેક્ટર અને મામલતદારને બધા લોકોને જાણ કરી છે અને જિલ્લાના કલેક્ટર સાથે સતત સંપર્કમાં છું. સંજોગો સાથે ગાંધીનગર હોવાથી ફિઝિકલી મારા મત વિસ્તારમાં હાજર નથી અને ટેલિફોનથી જામનગર તાલુકાની પરિસ્થિતિથી સતતને સતત વાકેફ છું. મોટાભાગે ગામડાઓની હાલત અતિવૃષ્ટિના કારણે ખરાબ છે.
લોકોને મદદરૂપ થવા માટે તમામ વ્યવસ્થા કરાઈ
લોકોના જીવ બચાવવા માટે NDRF, SDRFની ટીમ રવાના થઈ ગઈ છે. રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. જ્યારે જમવા માટેના ફૂડ પેકેટ માટે સત્તા વાળા તૈયારી કરી રહ્યા છે અને અમે જામનગર સતવારાના સતત સંપર્કમાં છીએ. તેમજ આગેવાનો સાથે પણ સંપર્કમાં રહી છે. આ પરિસ્થિતિ ખરાબ છે, ત્યાં લોકોને મદદરૂપ થવા માટે તમામ વ્યવસ્થા કરી રહ્યા છીએ.
જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે બંધ
ધોધમાર વરસાદના પગલે જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે. તેમજ જામનગરના પંચકોશી પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે. તેમજ આજુબાજુનો વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ત્યારે પોલીસ સ્ટેશનની બાજુના વિસ્તારમાં આશ્રમમાંથી લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત દુઆ ગામમાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
