કોંગ્રેસનું શપથપત્ર:મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો રજુ કર્યો, ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત અને ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરશે

By Abhishek Raghuvanshi
3 Min Read
કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો રજુ કર્યો
  • કોંગ્રેસે શપથપત્રમાં 12 વચનો પુરાં કરવાના શપથ લીધાં

રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે શપથપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે. શપથપત્રમાં કહેવામાં આવ્યું છે કે સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક એક શબ્દનું પાલન કરવામાં આવશે. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદીની શરૂઆત કરવામાં આવશે. તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપની જેમ અમે ખોટા વાયદા કે વચન નથી આપતા. અમે વાયદા નહિ શપથ લઈને આવ્યા છીએ. ભાજપના શાસનમાં જે ખોટું થાય છે તેને રાઈટ કરવું એટલે ગુજરાઇટ છે. કોંગ્રેસ કોર્પોરેશનમાં સત્તામાં મફત શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર દૂર કરવાની શપથ લઈએ છીએ. કોંગ્રેસ ગુજરાઇટ કાર્ડ લાવશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ કાર્ડના માધ્યમથી સુવિધાઓ અને યોજનાઓનો લાભ લઇ શકશે. બીજી તરફ વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે મહાનગરોમાં ભાજપનું શાસન હોવા છતાં અનેક સમસ્યાઓ છે. નાગરીકો ટેક્સ ભરતાં હોવા છતાં સમસ્યાનું સમાધાન થતું નથી. ભાજપના શાસકો સમસ્યાનું સમાધાન લાવવામાં નિષ્ફળ ગયાં છે.

કોંગ્રેસનું શપથપત્ર

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કરેલા વાયદાઓ

  • કોન્ટ્રાક્ટના નામે યુવા વર્ગનું શોષણ થાય છે તે આઉટસોર્સિંગ નાબૂદ કરીશું.
  • 6 મહાનગરમાં તમામ સરકારી શાળામાં મોડેલ સ્કૂલો બનાવી અને ધો. 1થી જ અંગ્રેજી માધ્યમ શરૂ કરી અને મફત શિક્ષણ સુવિધાઓ શરૂ કરશે
  • વરસાદી પાણીના નિકાલથી લોકોને જે નુકસાન થાય છે તે દૂર કરવા એક્સપર્ટની મદદ લઇ કામગીરી કરવામાં આવશે.
  • શહેરી વિસ્તારોમાં પાર્કિગની સમસ્યા છે. પાર્કિગના નામે ઉઘાડી લૂંટ ચાલે છે. જે દૂર કરવામાં આવશે અને ફ્રી પાર્કિગ કરવામાં આવશે.
  • વિદ્યાર્થીઓ અને શહેરીજનો માટે ફ્રી વાઈફાઈ ઝોન બનાવવામાં આવશે.
  • દરેકને ફ્રી પાણી મળે તેવી સુવિધાઓ કરવામાં આવશે
  • ગરીબ પરિવારને ઘરનું ઘર મળે તેવો પ્રયાસ કરવામાં આવશે
  • આધુનિક હોસ્પિટલ અને દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક બનાવવામાં આવશે.
  • કોરોના કાળમાં આર્થિક નુકશાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું
  • તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહન પાર્કિંગ આપીશું
  • ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું
Exit mobile version