અક્ષય અને જેક્લિન દમણ એરપોર્ટ પર આવી પહોંચ્યા, નારગોલ અને દમણ બીચ ખાતે કરાશે શૂટિંગ

By Abhishek Raghuvanshi
2 Min Read
દમણ એરપોર્ટ પર અક્ષય કુમાર પહોંચ્યો
  • શ્રીલંકાની કોવિડ ગાઈડલાઈનને લઈને શૂટિંગ માટે પરમિશન ન મળતાં ઉમરગામ-દમણના બીચની પસંદગી કરાઈ
  • અક્ષય અને તેમની ટીમ કોરોના સંક્રમિત જાહેર થતાં ફિલ્મનું શૂટિંગ અધૂરું રહ્યું હતું
  • દમણ કોસ્ટગાર્ડની ટીમે કર્યું અક્ષય અને જેક્લિનનું સ્વાગત

અભિનેતા ખિલાડી અક્ષય કુમાર પોતાની આવનારી ફિલ્મ રામસેતુ માટે ઉમારગામના નારગોલ અને દમણ બીચ ખાતે શૂટિંગ કરવા અભિનેત્રી જેક્લિન સાથે ગઈકાલે સોમવારે મોડી સાંજે દમણ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો.

નોંધનીય છે કે અક્ષય કુમાર અને જેક્લિનની નવી ફિલ્મ રામસેતુના શૂટિંગ માટે શ્રીલંકાના દરિયા કિનારાની પસંદગી થઈ હતી. પરંતુ શ્રીલંકાની કોવિડ ગાઈડલાઈનને લઈને ફિલ્મના શૂટિંગ માટે પ્રોડક્શન હાઉસને પરમિશન ન મળતાં ઉમરગામ અને દમણના બીચની પસંદગી કરવામાં આવી હતી.

અક્ષય કુમાર અને જેક્લિન ફિલ્મ શૂટિંગ માટે પહોંચ્યા

અક્ષયની રામસેતુ ફિલ્મ માટે એક ગીત અને બાકીના મહત્વના ભાગોનું શૂટિંગ અહિંના બીચ પર કરવામાં આવશે. જેની માટે અક્ષય કુમાર અને જેક્લિન દમણ એરપોર્ટ ઉપર શૂટિંગ ટીમ સાથે આવી પહોંચ્યા હતા. જ્યાં દમણ કોસ્ટગાર્ડની ટીમે અક્ષય અને જેક્લિનનું સ્વાગત કર્યું હતું.

દમણ અને ઉમરગામમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે

અક્ષય કુમારની આગામી ફિલ્મ રામસેતુ તૈયાર થવા જઈ રહી છે. આ ફિલ્મના એક ગીત અને કેટલાક મહત્વના ભાગોનું શૂટિંગ કરવાનું બાકી છે. આ ભાગ શ્રીલંકાના દરિયા કિનારે શૂટ થવાના હતા, પરંતુ ફિલ્મના પ્રોડક્શન હાઉસે શ્રીલંકામાં શૂટિંગ માટે કોવિડ ગાઈડલાઈન દર્શાવી પરવાનગી આપી ન હતી.

- Advertisement -

અક્ષય અને તેમની ટીમ કોરોના સંક્રમિત જાહેર થતાં ફિલ્મનું શૂટિંગ અધૂરું રહ્યું હતું. આથી અક્ષય અને તેમની ટીમ નેગેટિવ આવ્યા બાદ ફિલ્મના શૂટિંગ માટે ઉમરગામ અને દમણના દરિયા કિનારાની શૂટિંગ માટે પસંદગી કરવામાં આવી છે. ગઈકાલે સોમવારે મોડી સાંજે અક્ષય અને જેક્લિન તેમની શૂટિંગ ટીમ સાથે દમણ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યાં દમણ કોસ્ટગાર્ડે અક્ષય અને જેક્લિનનું સ્વાગત કર્યું હતું.

Exit mobile version