
- અમદાવાદ સિવિલમાં દરરોજ અંદાજે 30થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવે છે
- રાજકોટમાં 500, વડોદરામાં 185 તેમજ સુરતમાં 170ની આસપાસ દર્દીઓ દાખલ છે
ગુજરાતમાં કોરોના મહામારી ધીરે-ધીરે ઓછી થઈ રહી છે તો હવે નવી એક મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના થયા બાદ દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસની બીમારીમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સિવિલમાં 500થી વધુ દર્દીઓ દાખલ છે. ત્યારે છેલ્લા 3-4 દિવસમાંથી સિવિલમાં સવારની સાથે રાત્રે પણ દર્દીઓની સર્જરી કરવાનું શરૂ કરાયું છે. દરરોજ અંદાજે 30થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવે છે, સાથે જ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ ઈન્જેક્શન માટે પણ તડપી રહ્યા છે. એક-એક ઈન્જેક્શન માટે દર્દીનાં સગાં કલાકો સુધી હોસ્પિટલની બહાર બેસી રહે છે.
અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસના 9 વોર્ડ કાર્યરત
રાજ્યમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના કેસ અમદાવાદમાં વધી રહ્યા છે. થોડા સમય પહેલાં સિવિલમાં દરરોજ 20થી 22 લોકોની સર્જરી થતી હતી, જે વધીને હવે 30થી વધુ થઈ ગઈ છે, સાથે જ દર્દીઓની સંખ્યામાં સતત વધારાને કારણે એક નવો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે હવે સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના કુલ 9 વોર્ડ કાર્યરત છે.

અમદાવાદ બાદ રાજકોટમાં વધુ ખતરો
અમદાવાદ બાદ સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસ રાજકોટમાં છે. અહીં પણ 500ની આસપાસ દર્દીઓ દાખલ છે. ત્યાર બાદ વડોદરામાં 185 તેમજ સુરતમાં 170ની આસપાસ દર્દીઓ દાખલ છે. ગઈકાલે સુરતમાં મ્યુકોરમાઇકોસિસથી ત્રણ દર્દીનાં મોત પણ નીપજ્યાં છે. હાલમાં અમદાવાદ સિવિલમાં ઈએનટીના ડોક્ટર તેમજ આંખના ડોક્ટરો સાથે મળીને દિવસ-રાત દર્દીઓના ઓપરેશન કરી રહ્યા છે.
ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના 2281 કેસ
કોરોના મહામારી હજુ સમાપ્ત નથી થઈ, ત્યાં રાજ્યમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરવી પડી છે. કેન્દ્ર સરકારે પણ સ્વીકારી લીધું છે કે દેશમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. કેન્દ્રના મતે, ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના 2281 કેસ છે, જોકે હકીકતમાં આ આંકડો આશરે પાંચ હજારથી પણ વધુ છે. આમાંથી 50%થી વધુ લોકો ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓને Amphotericin B ઈન્જેક્શનની જરૂર પડે છે, પરંતુ રાજ્યમાં દર્દીઓનાં સગાં ઈન્જેક્શન માટે રઝળપાટ કરી રહ્યાં છે.

ઈન્જેક્શનનો જથ્થો તાત્કાલિક હોસ્પિટલોને ફાળવી દેવાશે
ઈન્જેક્શન માટે તડપતા આ દર્દીઓને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ રોગની સારવાર માટે જરૂરી એવાં ઇન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરીને અત્યારસુધી મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાંને 20,700થી વધુ Amphotericin B ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી આપ્યા છે. આ ઇન્જેક્શન Amphotericin Bનો વધુ જથ્થો રવિવારે મોડી સાંજે મળી ગયો છે. આ જથ્થો તાત્કાલિક મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાંને ફાળવી દેવામાં આવશે.
ઇન્જેક્શનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આવનારા દિવસોમાં પણ આ ઇન્જેક્શનની તંગી ના પડે કે અછત ઊભી ના થાય એ હેતુસર ગુજરાત સરકાર દ્વારા Amphotericin B ઇન્જેક્શનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને આ દવા આરોગ્ય વિભાગના દિશાનિર્દેશ પ્રમાણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં આ મ્યુકોરમાઈકોસિસ રોગના દર્દીઓને રાજ્યમાં પૂરતી દવાઓ, ઇન્જેક્શન સરળતાથી મળી રહે એ માટે સમગ્ર આરોગ્યતંત્રને પ્રેરિત કર્યું છે. તેમણે રાજ્યના લોકોને પણ વિશ્વાસ આપ્યો છે કે આ મ્યુકોરમાઈકોસિસના રોગ સામે પણ ગુજરાત કોરોના સામે મેળવી છે એવી જ સફળતા મેળવશે.