
- સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાવક્યો છે
- રાજ્યના 23 જિલ્લાઓના 176 તાલુકાઓમાં તાઉ-તે વાવાઝોડાના કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો
રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાત આવી રહ્યા છે. તેઓ વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ કરશે. તેઓ સવારે સાડા અગિયાર કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે. અહીં પહોંચ્યા બાદ તેઓ ભાવનગર,અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે. નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરીને ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે.
PM નરેન્દ્ર મોદીએ CM રૂપાણી સાથે ટેલિફોન પર વાતચીત કરી
વડાપ્રધાન મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિના સામના માટે સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને લઈને મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે આ વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ વાત કરી હતી.
સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદ
વિનાશક ‘તાઉ-તે’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું તે બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાવક્યો છે. ઉપરાંત ભારે પવનના કારણે વૃક્ષા ધરાશાથી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યમાં ભાવનગર, વલસાડ, સુરત, અમરેલી, ભરુચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.
રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ, આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓના 176 તાલુકાઓમાં તાઉ-તે વાવાઝોડાના કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગર તાલુકામાં 5 ઈંચ, ઉમરગામમાં 4.8 ઈંચ, ઓલપાડમાં 4.5 ઈંચ, રાજુલામાં 4 ઈંચ, બોટાદ તથા સુરત શહેરમાં 3.7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમદાવાદમાં 3 ઈંચ, સિંહોરમાં 3.6, હાંસોટ, પાલિતાણા, પારડી અને વલ્લભીપુરમાં 2.9 ઈંચ, ઉમરાળામાં 2.7 ઈંચ, વાપીમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો.
વાવાઝોડા અને વરસાદના કારણે ભાઈ બહેનના મોત
અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં વાવાઝોડા અને વરસાદના કારણે બે ભાઈ બહેનના મોત નીપજ્યા છે. સાણંદ શહેરમાં જોરદાર વાવાઝોડાની અસરના કારણે પવન ફૂંકાઇ રહ્યો છે. દેવીપૂજક વાસમાં રહેતા વિષ્ણુભાઈ ચુનારા અને મંજુબેન ચુનારા નામના બે ભાઈ બહેન ઘર પાસે હતા. પવનના કારણે પતરું ઉડી અને વીજળીના લાઈવ વાયર પર પડ્યું હતું. પતરું બંને ભાઈ-બહેનના પર પણ પડતાં તેઓને કરંટ લાગ્યો હતો. જેથી બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અમદાવાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદથી છાપરાઓ અને કાચા મકાન પણ ધરાશાયી થયાં હોવાના અહેવાલ મળ્યાં છે.