
- જયેશ પટેલની ધરપકડ માટે અમદાવાદથી પોલીસ અધિકારી દીપેન ભદ્રેનને જામનગર મોકલવામાં આવ્યા હતા
કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. લંડન ખાતેથી જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જયેશ પટેલની ધરપકડ કરવા માટે અમદાવાદથી ખાસ પોલીસ અધિકારી દીપેન ભદ્રેનને જામનગર મોકલવામાં આવ્યા હતા.
લૂંટ, હત્યા સહિતના ગુના નોંધાયા છે
વિદેશમાં ધરપકડ કરવામાં આવી હોવાથી હવે જયેશ પટેલના ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જયેશ પટેલ વિરુદ્ધ જામનગરમાં 40થી વધારે ગુના નોંધાયેલા છે. જયેશ પટેલ લોકોને ધાક-ધમકી આપીને જમીન પડાવી લેતો હતો. આ ઉપરાંત લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ અને ગુજસીટોક હેઠળ પણ જયેશ સામે ગુનો નોંધાયેલો છે.
ભારત-લંડન પોલીસનું સંયુક્ત ઑપરેશન
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારત પોલીસ અને લંડન પોલીસે સંયુક્ત રીતે આ ઑપરેશન પાર પાડ્યું છે, જોકે જયેશની ધરપકડ અંગે ગુજરાત પોલીસ તરફથી કોઈ અધિકારિક જાણકારી આપવામાં આવી નથી.

વકીલ કિરીટ જોશીની હત્યાનો મુખ્ય આરોપી છે જયેશ પટેલ
જામનગરના વકીલ કિરીટ જોશીની એપ્રિલ, 2018માં હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયેલા ગેંગસ્ટર જયસુખ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ઝબ્બે કરવા ભારતે બ્રિટનને તાકીદ કરી હતી. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. અલગ અલગ કેસમાં 40થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં ચપ્પાના ઘા મારીને હત્યા કરી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેના અનેક સાગરિતો જેલ હવાલે થઈ ચૂક્યા હતા. કિરીટ જોશીની હત્યા મામલે અગાઉ 3 સાગરિતોની ધરપકડ થઈ ચુકી છે.
જયેશ પટેલ અને તેના 14 સાગરીત સામે ગુનો નોંધાયો હતો
જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના 14 સાગરીત સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ફાંસી તેમજ આજીવન કેદની સજા તેમજ 10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી.
ગુજસીટોક હેઠળ જામનગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો
ગુજરાત સરકાર દ્વારા ગુનાખોરીને કાબૂમાં કરવા માટે ગુજસીટોક કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. ત્યારે આ કાયદા હેઠળ જામનગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો હતા. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના 14 સાગરીત સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગેની માહિતી એસપી દીપેન ભદ્રને આપી હતી. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયા અને ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જયેશ પટેલ સિવાય તેના 13 સાગરીતની ધરપકડ કરાઈ હતી
રાજકોટ રેન્જ DIG સંદીપસિંઘે ગઈકાલે પ્રેસ-કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં જણાવ્યું હતું કે જયેશ પટેલ સિવાય તેના 13 સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. સરકારના આદેશ બાદ જયેશ પટેલ અને તેની ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયેશ પટેલ સિન્ડિકેટ બનાવી લોકોને હેરાન કરતો હતો. વેપારી અને બિલ્ડરને ધમકાવતો હતો. જયેશ પટેલ ઓર્ગેનાઈઝ કામ કરતો હતો. જયેશ પટેલ લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. જામનગરના એસપી દીપેન ભદ્રેનની ટીમે 8ની ધરપકડ કરી છે.