- લોકડાઉનમાં ગરીબોને ભોજન પુરૂ પાડી માનવતા મહેકાવી હતી
- કડક ઓફિસરની ઈમેજ ધરાવતા અમિતા સ્વભાવે અતિસંવેદનશીલ હતા
સુરત શહેરના ઉધના પોલીસ મથકની પટેલ નગર ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અમિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટનાં ભાગે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. સાથી પોલીસ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે અમિતા જોષી ઉધના વિસ્તારમાં લેડી સિંઘમ જેવી છાપ ધરાવતા હતા. જોકે, તેણી સ્વભાવે અતિસંવેદનશીલ હતા. જ્યારે છેલ્લા 5 દિવસથી ઓન ડ્યૂટી નોર્મલ રહેતા અમિતા જોશી સોશિયલ મીડિયામાં જાણે ડિપ્રેશનમાં હોય તેવા સ્ટેટસ મૂકતા હતા.
લોકડાઉનમાં ગરીબોને ભોજન આપ્યું, ગુનેગારોમાં ધાક હતી
વર્ષ 2013ની બેચના પીએસઆઈ અમિતા જોશી હતા. ઉધના વિસ્તારમાં તેમની છાપ લેડી સિંઘમ જેવી હતી. ગુનેગારો-ટપોરીઓ પર તેમની ધાક હતી. જોકે, કડક ઓફિસરની ઈમેજ ધરાવતા અમિતા જોશી સ્વભાવે અતિસંવેદનશીલ હતા. લોકડાઉનમાં ગરીબોને ભોજન પુરૂ પાડી માનવતા મહેકાવવા સાથે અનેક પરપ્રાંતિયોને વતન મોકલવાની વ્યવસ્થા કરી હતી. ગત વર્ષે એક ગરીબ છોકરાની સાઈકલ ચોરાઈ ગઈ હતી. છોકરો પિતા સાથે પોલીસ ચોકીમાં ચોરીની અરજી આપવા આવ્યો હતો. સાઈકલ ચોરાઈ જતા નાસીપાસ થયેલા આ છોકરાને જોઈ પીએસઆઈ અમિતાનું દિલ દ્રવી ઉઠ્યું હતું. તેમણે પોતાના ખર્ચે છોકારાને સાઈકલ અપાવી હતી.
આ પણ વાંચોઃ આપઘાત કરી લેનાર અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચના PSI, એકના એક દીકરાએ માતા ગૂમાવી
ડિપ્રેશનમાં હોય તેવા સ્ટેટસ મૂકતા હતા
સાથી પોલીસ કર્મીઓના જણાવ્યા પ્રમાણે, છેલ્લા પાંચ દિવસથી ઓન ડ્યુટી નોર્મલ રહેલા પીએસઆઈ અમિતા સોશિયલ મીડિયામાં વિચિત્ર સ્ટેટસ મૂકતા હતા. અમિતા જોશી છેલ્લા પાંચેક દિવસથી ડિપ્રેશનમાં હોય તે પ્રકારના વીડિયો-ફોટો સ્ટેટસ પર અપલોડ કરતા હતા. ગત રોજ જ તેમણે રામલીલા ફિલ્લામાં વાગતા મરસીયાનો વીડિયો મૂક્યો હતો. જે વીડિયો જોઈને પોલીસ કર્મીઓને આશ્વર્ય થયું હતું. સાથે સાથે આગ તો અપને હી લગાતે હે, ગૈર તો સિર્ફ હવા દેતે હૈ એવો પણ વીડિયો મૂક્યો હતો. જ્યારે જો ગુજર ગયા ઉસે પીછે મૂડકર મત દેખો. વરના જો આગે મિલને વાલા હે ઉસે ભી ખો દોંગે જેવા પણ સ્ટેટસ મૂકતા હતા.
ઘટના શું હતી?
મહિલા પીએસઆઇ અમિતા જોશી(ઉ.વ.33)એ પોતાની સર્વિસ રિવોલ્વર થી પેટનાં ભાગે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પોલીસને મળી આવેલી ડાયરીમાં પોતે ‘જીવવું અઘરું છે. મારા મોત માટે કોઈ જવાબદાર નથી’ એવું લખી જીવન ટુંકાવી લીધું હતું.ઘટના અંગે જાણ થતા જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિ તનો પોલીસ કાફલો ફાલસાવાડી સ્થિત પીએસઆઇના ઘેર પહોંચી ગયો હતો અને એફએસએલની મદદથી તપાસ શરુ કરી હતી.
ઉધના પોલીસ મથકમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા હતાં
મહિલા પીએસઆઈ ઉધના પોલીસ મથકમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા હતાં.ઉધના પોલીસ મથકમાં પટેલ નગર પોલીસ ચોકીને ચાર્જ તેમની પાસે હતો. તેઓ નાઈટ ડ્યુટીમાં ઇન્વેસ્ટીગેશન ટીમમાં હોવાથી સવારે ફરજ પરથી ઘેર ફાલસાવાડી ખાતે તેમના 103 નંબરના ફ્લેટમાં આવ્યાં હતાં.તેમના પતિ સચિન પોલીસ મથકમાં એમિટી ડ્રાઇવર તરીકે બજાવે છે. પીએસઆઇના સંતાનમાં પાંચ વર્ષનો એક દીકરો છે.મહિલા પીએસઆઈ આપઘાત કરતા પહેલા છેલ્લે બાર જાગીને અઠ્ઠાવીસ મિનિટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો અને બાદમાં આપઘાત કરી લીધો હતો.પોલીસે પીએસઆઇના મૃતદેહને પીએમ માટે સ્મેર હોસ્પિટલ ખસેડ્યો હતો.
