- સીએમ રૂપાણીએ અંબાજીમાં માતાજીના દર્શન કર્યાં
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધવાથી લોકોમાં લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો. તેમજ અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લૉકડાઉન આવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કરફ્યૂ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.
અમદાવાદમાં 57 કલાક સુધી કર્ફ્યૂ રહેશે
અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કર્ફ્યૂ ચાલુ રહેશે. આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે. અગાઉ અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તાએ સાંજે 5:30 વાગ્યે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી હતી. પરિણામે અમદાવાદની પરિસ્થિતિ વણસી હોય તેવા સ્પષ્ટ એંધાણ છે. વેકેશન દરમિયાન બહારગામ ગયેલા લોકો શુક્રવારે શહેરમાં પરત આવવા ધસારો કરશે. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.
