વેપાર-ધંધા ફરી શરૂ:બે દિવસના કર્ફ્યૂ બાદ અમદાવાદ ફરી ધમધમતું થયું, વહેલી સવારથી વાહનોની અવર-જવર શરૂ

By Abhishek Raghuvanshi
3 Min Read
  • AMTS અને BRTS બસ સેવા પણ શરૂ થઈ ગઈ છે

કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધતા બે દિવસ માટે સંપૂર્ણપણે કર્ફ્યૂ લગાવવામાં આવ્યુ હતું. સોમવારે સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ હટાવી દેવામાં આવ્યો છે. આજે સવારથી અમદાવાદ ફરી ધમધમતું થયું છે. રોડ પર વાહનોની અને લોકોની અવરજવર શરૂ થઈ ગઈ છે. AMTS અને BRTS બસ સેવા પણ શરૂ થઈ ગઈ છે. લોકો રોડ પર ફરી નીકળ્યા છે. બે દિવસ સુધી લોકો કર્ફ્યૂ હોવાથી ઘરમાં રહ્યા હતા. આજે સવારથી ફરી ઓફિસો શરૂ થઈ ગઈ હોવાથી લોકો જવા લાગ્યા છે.

બે દિવસ બાદ આજે સવારથી ફરી લોકો ઓફિસ જવા લાગ્યા છે

કર્ફ્યુ બાદ પણ અમદાવાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અમદાવાદમાં 57 કલાક બાદ આજે સવારે 6 વાગે કર્ફ્યુ પૂર્ણ થયો છે. કર્ફ્યુ પૂર્ણ થતા અમદાવાદનું જનજીવન ફરી સામાન્ય બન્યું છે. સતત ભીડભાડવાળા ચોખા બજારના દ્રશ્યો અલગ જોવા મળ્યા હતા. કર્ફ્યુ બાદ પણ અમદાવાદ પોલીસ હાલમાં સ્ટેન્ડ ટુ છે. ચોખા બજાર વિસ્તારમાં ભીડ ન થાય તે માટે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સામાજિક અંતર જાળવવા, ભીડ ન કરવા અને માસ્ક પહેરવા પોલીસ સમજણ આપી રહી છે.

કેવી હતી અમદાવાદમાં કર્ફ્યૂ સમયની સ્થિતિ?
શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ગત શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો, જેની કડક અમલવારી કરાવવામાં આવી રહી હતી. આ માટે અમદાવાદની સરહદો પર પોલીસ તહેનાત કરી દેવાયા હતા અને કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના રહેવાસીઓ અને GJ-01 પાસિંગનાં વાહનોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો, જેને કારણે શહેરમાં આવતા અન્ય જિલ્લાના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરની સરહદ સીલ કરવામાં આવતાં સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોને સનાથલ ચોકડી પાસે અટકાવી દેવામાં આવ્યા હતા. સનાથલના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું હતું. વેલિડ ડોક્યુમેન્ટ ન હોય અથવા યોગ્ય કારણ ન જણાવી શકનારને શહેરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. શહેરમાં પ્રવેશ ન મળવાને કારણે મુસાફરોને પરત જવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. પરત જવા માગતા મુસાફરો પાસેથી પાંચથી દસ ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું હતું.

AMTS અને BRTS બસ સેવા પણ શરૂ થઈ ગઈ છે

હાલમાં શહેરમાં 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં
છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યો છે. શહેરમાં આજે 6 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે નવા કેસ નોંધાતા 22 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 10, સેન્ટ્રલ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 3, ઇસ્ટ ઝોનના 3, વેસ્ટ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 4 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

Exit mobile version