- દર વર્ષે અવનવી મીઠાઈ બજારમાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે ઇમ્યુનિટી બૂસ્ટર મીઠાઈ આવી
- દિવાળીની ખરીદીમાં મીઠાઈબજારમાં 15 ટકા જેટલો જ ઘટાડો
દિવાળી અને નવા વર્ષના તહેવારમાં મીઠાઈનું મહત્ત્વ હોય છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે દિવાળીની ખરીદીના બજારમાં મંદીનો માહોલ છે, પરંતુ મીઠાઈબજારમાં એની ખાસ અસર જોવા મળી રહી છે. દર વર્ષે મીઠાઈના વેપારી અવનવી મીઠાઈ લાવતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોનામાં લોકોની રોગપ્રતિકારક શકિત વધે એના માટે ઇમ્યુનિટી બૂસ્ટર મીઠાઈ બનાવી છે, જેમાં આયુર્વેદિક વસ્તુઓ, તુલસીનાં પાન વગેરે નાખી મીઠાઈ બનાવાઈ છે. ઉપરાંત બજારમાં અન્ય મીઠાઈઓ જેવી કે ડ્રાય ફ્રૂટસ મીઠાઈ, કાજુકતરી, ફેન્સી ડ્રાય ફ્રૂટસ, અન્નકૂટ માટે સ્પેશિયલ મીઠાઈ બનાવવામાં આવી છે.
મીઠાઈબજારને મંદીનો સામનો નથી કરવો પડ્યો
અમદાવાદની 50 વર્ષથી જાણીતી જયહિંદ સ્વીટના માલિક અજિત પટેલે DivyaBhaskarસાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર વર્ષે મીઠાઈની માગ રહેતી જ હોય છે. અવનવી મીઠાઈ અમે બનાવીએ છીએ. આ વર્ષે કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શકિત વધે એના માટેની ઇમ્યુનિટી બૂસ્ટર મીઠાઈ બનાવાઈ છે, જેમાં તુલસીનાં પાન, આયુર્વેદિકની વસ્તુઓ નાખવામાં આવી છે, જેની કિંમત રૂ. 1240 પ્રતિ કિલો રાખવામાં આવી છે. ઉપરાંત આ વર્ષે મીઠાઈના વેપારમાં 15 ટકા જેટલો જ ઘટાડો નોંધાયો છે. અન્ય દેશોમાં પણ મીઠાઈ નિકાસ કરવામાં આવે છે. દિવાળીને લઈ સ્પેશિયલ પેકિંગ કરવામાં આવે છે.
મીઠાઈ, બિસ્કિટ અને કૂકિસ આપવાનો ટ્રેન્ડ
મીઠાઈબજારમાં અવનવી મીઠાઈ સાથે હવે બિસ્કિટ તેમજ કૂકિઝ આપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના કૂકિઝ બનાવી એનું પેકિંગ કરી રાખવામાં આવે છે. ફરસાણમાં ખાસ કોઈ ઘરાકી જોવા મળતી નથી, પરંતુ મીઠાઈમાં વધુ લોકો ખરીદી કરે છે. ઇમ્યુનિટી બૂસ્ટર મીઠાઈનું વેચાણ પણ વધી રહ્યું છે, તેમાં પણ મોટી કંપનીઓ, પેઢીઓ દિવાળી તહેવારની ગિફ્ટમાં મીઠાઈનું બોક્સ આપે છે, જેના ઓર્ડર લેવાની શરૂઆત અઠવાડિયા પહેલાં જ શરૂ થઈ ગઈ હતી.
