રે માનવી….! આ તે કેવી ક્રૂરતા:…અંધશ્રદ્ધાનો આ દાગ ગુજરાતના માથે ક્યાં સુધી?, ઝાલાવાડમાં આજેય ખેંચની બિમારીમાં માથામાં પાણી ભરાયું હોય તો લોખંડના ગરમ ઓજારથી “ડામ” અપાય છે

By Abhishek Raghuvanshi
4 Min Read
ઝાલાવાડમાં ખેંચની બીમારીમાં બાળકને માથામાં ડામ અપાય છે
  • 21મી સદીમાં પણ ગામડાંના ઘણાં ગરીબ અને અશિક્ષિત લોકો અંધશ્રદ્ધાના સહારે જીવી રહ્યાં છે
  • ગામડાંના ગરીબ લોકો બાળકોને બીમારીમાં ડોક્ટર પાસે સારવારના બદલે ભુવાઓ પાસે ડામ અપાવે છે

ગુજરાતે મેડિકલ ક્ષેત્રે સફળતાના શિખરો સર કર્યા છે, પરંતુ આધુનિક મેડિકલ સાયન્સ માટે કલંકરૂપ એવી ધગધગતા લોખંડના ઓજારથી ડામ દઇને બીમારી ભગાડવાની અથવા માતાજીને રીઝવવાની પ્રથા પિશાચી અખતરાથી કરાય છે. આજેય ઝાલાવાડમાં દાઝ્યાં પર ડામ દેતા હોય એમ ખેંચની બિમારીમાં બાળકને મસ્તિષ્કમાં પાણી ભરાયું હોય તો લોખંડના ગરમ ઓજારથી ધગધગતા “ડામ” અપાય છે.

કુપોષણ હોય તો આ રીતે ડામ અપાય છે (ડાબો ફોટો) અને ડાયેરિયામાં પેટમાં ડામ આપે છે (જમણો ફોટો)

મેનેજાઇટીસમાં માથામાં ડામ અપાય છે
આજે પણ ભૂવાઓ અને ઊંટવૈદો દ્વારા ફુલ જેવા બાળકોને ગરમ સોય કે ધગધગતા સળિયાથી અત્યંત ક્રૂર રીતે ડામ દઇને માસુમ બાળકોના શરીર પર કદી ન ભૂસી શકાય તેવા ડાઘ પાડી દેવાની ખોફનાક પ્રવૃત્તિઓ આજેય બેરોકટોક ધમધમી રહી છે. જેમાં માસૂમ બાળકને મેનેજાઇટીસ થયો હોય તો માથા ઉપર ડામ દેવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે, ડામ દેવાની પ્રથા કલમ 324 અને 337 મુજબ ગુન્હો બને છે છતાં બેરોકટોક ચાલે છે. નવાઇની વાત તો એ છે કે, ગ્રામ્ય પથંકમાં આ ડામને “ટાઢા” (ઠંડા) કહે છે.

માસુમને કઇ બિમારીમાં ક્યાં ડામ અપાય છે

  • કપાળ (ભાલ પ્રદેશ)માં – ખેંચ હોય કે મગજનો તાવ હોય ત્યારે માથાના કપાળ પર ડામ અપાય છે.
  • ગળાના પાછળના ભાગે – કૂપોષણ કે ક્ષયરોગમાં બાળક દૂબળું પડી જાય ત્યારે ગરદનની પાછળના ભાગમાં રીંગ શેપમાં ડામ
  • ન્યુમોનિયા કે ફેફસામાં કોઇ પણ ચેપ હોય ત્યારે છાતીના ભાગે ડામ અપાય છે.
  • મેલેરિયા, ટાઇફોઇડ કે અન્ય રોગ જેમાં લિવર કે બરોળની સાઇઝ મોટી હોય ત્યારે છાતીના નીચેના ભાગમાં જમણી બાજુ લિવર પર ડામ અપાય છે.
  • બાળકને કમળો થયો હોય ત્યારે એને પેટના ભાગે ડાબી બાજુ ડામ અપાય છે.
  • બાળકના ગુપ્તાંગ પર એટલે કે વૃષણ પ્રદેશમાં સારણગાંઠ હોય ત્યારે ગુપ્તાંગ પર ડામ અપાય છે.
  • પૂંઠ બહાર આવતી હોય ત્યારે ગુદા પ્રદેશમાં ડામ.

કચ્છના વાગડ પથંકમાં ધીમે ધીમે આ પ્રથા નાબુદ થઇ શકી
ગાંધીધામના વાગડ પથંકમાં કોળી, મુસ્લિમ અને માધલારી ( રબારી-ભરવાડ ) સહિતના અન્ય પછાત સમાજમાં બાળકોને વિવિધ બિમારીઓમાં ડામ આપીને બિમારી ભગાડવાનું દૂષણ ખુબ હતુ. પણ અમે આ પ્રથા ડામવા ડામ વિરોધી અભિયાન ચલાવતા દશ વર્ષે હવે કચ્છ પ્રદેશમાં આ પ્રથા નાબુદ થઇ છે. પણ તાજેતરમાં વાગડ પથંકના 3 બાળકોને ઝાલાવાડ અને વઢિયાર પથંકમાં ડામ અપાયા હોવાની વિગતો સામે આવી હતી. પાટડી પથંકની હમણા જ મેં લીધેલી મુલાકાતમાં આવા ચોંકાવનાર‍ કિસ્સાઓ સામે આવ્યા હતા. તો અમે આ પાશવી પ્રથાને ડામવા કચ્છ તો શું ગુજરાતનાં ગમે તે ખૂણે જવા તૈયાર અને આતુર છીએ. – ડો.રાજેશ માહેશ્વરી, બાળ રોગ નિષ્ણાત (ગાંધીધામ)

- Advertisement -

માસુમ બાળકને બીમારીની સારવાર માટે ધગધગતા લોખંડના સળિયા કે અન્ય વસ્તુથી ‘ટાઢા’ દેવાની પ્રથા રૂંવાડા ઊભા કરી દે છે
ધગધગતો લોખંડનો ગરમ સળિયો, ખીલીની પાછળનો ભાગ, લોહનો વાયર કે ગોળ લોખંડની વીંટી (રીંગ)ને ખુબ ગરમ કરીને રોગના આધારે બાળકના વિવિધ ભાગો પર મૂકવામાં આવે છે. અને ભૂવાઓ અને ઊંટવૈદો દ્વારા બાંયધરી પણ આપવામાં આવે છે કે, આ ડામના ઘા પાકશે પછી અંદરની બિમારી મટશે ત્યાં સુધી ધીરજ રાખો.

રણકાંઠામાં મૂંગા અબોલ પશુઓને પણ ડામ આપવાની પ્રથા છે
માલધારી સમાજના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આજેય માસુમના શરીરે ગરમ ડામ અપાયા બાદ તબીયત લથડે તો ડોક્ટર પાસે લઈ જવાય છે. માસુમના શરીર પર આ ડાઘ જીવનભરનો કલંક બની જાય છે. રણકાંઠા વિસ્તારમાં ગાય કે ભેંસને પેટમાં આફરો કે ચૂંક સહિતની કોઇ બિમારી હોય તો પશુઓને ડામ આપવાની પ્રથા આજેય અકબંધ છે.

Exit mobile version