હિડ એન્ડ રન:રાજકોટમાં ઓડી કાર ચાલકે શાકભાજીની લારીવાળાના દોઢ વર્ષના પુત્રને કચડતા દર્દનાક મોત, માતા બાળકને ગોદમાં લઈ કાર પાછળ દોડી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

By Abhishek Raghuvanshi
3 Min Read
રાજકોટમાં ઓડી કારે દોઢ વર્ષના બાળકને કચડી નાખતા મોત, ઘટના CCTVમાં કેદ થઈ.
  • મોબાઈલમાં વાત કરતા કરતા ચાલક ઓડી કાર ચલાવી રહ્યો હતો
  • ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી
  • રાજકોટના સરધાર ગામે ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક દોઢ વર્ષના બાળકને ઓડીકાર ચાલકે કચડી નાખતા તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. માતા બાળકને ગોદમાં લઇ કાર પાછળ દોડી પરંતુ ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બાળકના માતા-પિતાએ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે ઓડી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

માતા બાળકને ગોદમાં લઈ કાર પાછળ દોડી. (સર્કલમાં જોઈ શકાય છે)

માતા-પિતા ધંધામાં વ્યસ્ત, પુત્ર રેંકડી પાસે રમતો હતો
ખોખડદળ નદીના પુલ પાસે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની રેંકડી ઊભી રાખી વેપાર કરતા જગદીશભાઇ સુરેલા નામનો યુવાન તેની પત્ની અને દોઢ વર્ષના પુત્ર વંશ સાથે ભક્તિનગર સર્કલે શાકભાજીના થડે હતા. માતા-પિતા ધંધામાં વ્યસ્ત હતા ત્યારે પુત્ર વંશ રેંકડી નજીક રમતો હતો. આ સમયે ઓડી કાર ડ્રાઇવ કરતાની સાથે મોબાઇલ પર વાત કરતા ચાલકે બેફિકરાઇથી કાર ચલાવી વંશને કચડી નાખ્યો હતો.

અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો.

પુત્ર કાર નીચે કચડાતા જ માતા-પિતા કાર પાછળ દોડ્યા
બાળકને કચડ્યા બાદ ચાલક કાર ત્યાંથી નાસી ગયો હતો. પુત્ર વંશ કાર નીચે કચડાયાની જાણ થતા પિતા જગદીશભાઇ અને તેની પત્ની દોડી ગયા હતા. તેમજ આસપાસમાંથી લોકો એકત્ર થઈ કાર પાછળ દોડ્યા હતા. પરંતુ કાર ચાલક પૂરપાટ ઝડપે નીકળી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા પુત્ર વંશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ વંશે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા માતા-પિતાએ કલ્પાંત કર્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસમથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે નાસી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.

સરધારમાં ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો
રાજકોટ જિલ્લામાં અન્ય એક આપઘાતનો બનાવ નોંધાયો છે. રાજકોટના સરધાર ગામે રહેતા અને ખેતીકામ કરતા જગદીશભાઇ ગોરધનભાઇ બુડાસણા નામના પ્રૌઢે તેમના ઘરે અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ત્રણ સંતાનના પિતા જગદીશભાઇના આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
Exit mobile version